દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરની ૨૦૧૮-૧૯ની આવક જાહેર કરાઈ છે. જગત મંદિરમાં ૨૦૧૮-૧૯માં રૂ. ૧૨ કરોડ ૧૮ લાખનું દાન મળ્યું છે. આ ઉપરાંત ૮૧૨ ગ્રામ સોનું અને ૩૧ કિલો ચાંદી પણ ભગવાનને ચઢાવાઈ છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષની સરખામણીએ રોકડ દાનમાં લગભગ ૭૬ લાખ રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારેબીજી તરફ સોનામાં ૧૨૧ ગ્રામ અને ચાંદીના દાનમાં ૮ કિલોનો ઉમેરો થયો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના વધુ આવક ધરાવતાં મંદિરોમાં અંબાજી પછી સોમનાથ અને દ્વારકાનો સમાવેશ થાય છે.
૮૩ ટકા હિસ્સો પૂજારી પરિવારને
જગતમંદિરની દાનમાં થયેલી આવકનો આશરે ૮૩ ટકાનો હિસ્સો એટલે કે આ વર્ષે કુલ ૧૦ કરોડ ૧૪ લાખ રૂપિયા પુજારી પરિવારજનોના ભાગે ગયા છે.
જ્યારે બાકીની રકમમાંથી ૧૫ ટકા હિસ્સો ૧ કરોડ ૧૯ લાખ જગત મંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતિના ભાગે આવે છે. તેમજ ૨ ટકાનો હિસ્સો કુલ ૨ કરોડ ૪૩ લાખ રૂપિયા ચેરીટી ટ્રસ્ટના ભાગે આવતો હોવાનું જણાવ્યું છે.