સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રાથી ચારધામ યાત્રાએ નીકળેલી બસ નેપાળમાં દુર્ઘટનાગ્ર્સ્ત થતાં તેમાં ૧૭ લોકોના મોત થયા છે. ૨૨ એપ્રિલે વહેલી સવારે ૬.૪૫ વાગે નેપાળના પશુપતિનાથ મહાદેવના દર્શન કરી ગોરખપુર પરત ફરતી વખતે કાઠમંડુથી ૩૫ કિલોમીટર દૂર નાગઢૂંગા પાસે ૧૦૦ ફૂટ ઊંડી ખીમમાં ખાબકી હતી આ બનાવમાં બસમાં સવાર ૪૫ પૈકી ૧૭ શ્રદ્ધાળુનાં મૃત્યુ થયા હતાં જ્યારે ૨૮ને ઇજા પહોંચી હતી. જે પૈકીનાં પાંચ પર્યટકની હાલત ગંભીર હોવાનું નેપાળ સરકાર કહે છે. ઘાયલોને તેમ જ મૃતકોને એરફોર્સના ખાસ વિમાન દ્વારા કાઠમંડુથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. એક બાઈક સવારને બચાવવા જતાં આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. મૃતકો વઢવાણ, ધ્રાંગધ્રા, વાડલા અને કોઠારિયા અને રતનપર ગામના છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂ. ચાર લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.
જાણ કેવી રીતે થઈ?
આ બસની સાથે ઈડરની પણ એક બસ હતી. પાછળ આવતી આ બસ નહીં દેખાતા બસચાલકે એક ટેમ્પો ચાલકને પૂછતા તેણે જણાવ્યું હતું કે તમારી પાછળ બસ ખીણમાં પડી ગઈ છે.
બે બસમાં ૮૦ પ્રવાસીઓ હતા
ધ્રાંગધ્રાની ટુરિસ્ટ બસ સાથે ઇડરની બસ પણ હતી. બંને બસમાં કુલ ૮૦ પ્રવાસીઓ હતા. ઇડરની બસ સાથે ના હોત તો ઘવાયેલા લોકોને સારવાર ખૂબ મોડી મળી હોત.