ગાંધીનગરઃ ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકાના કેટલાક ગામોમાં સતત ભૂકંપના આંચકા આવે છે. આથી ભૂસ્તર વિજ્ઞાનની રીતે કેટલાક ફેરફારો થઈ રહ્યા હોવાનું જાણકારો માની રહ્યા છે. ગુજરાતમાં પાલીતાણાની ભૂકંપની નવી ફોલ્ટલાઇન સક્રિય થઈ હોય તેવું પણ માનવામાં આવે છે. ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા અને પાલીતાણા પંથકમાં આવેલાં ૩૦ જેટલાં ગામોમાં ૨૦ એપ્રિલે રાત્રે ૩.૧ની તીવ્રતાના ભૂકંપના સતત આંચકા આવતા લોકો ભયને કારણે ઊંઘમાંથી સફળા જાગી જઈ ઘરની બહાર દોડી આવ્યા હતા. ભાવનગર પંથકમાં ભૂકંપના આંચકા આવ્યા હોવાનું સરકારી તંત્રએ પણ સમર્થન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ ૨૦૦૧માં વિનાશક ભૂકંપ આવ્યા બાદ ભાવનગર પંથકમાં સતત ભૂકંપના આંચકા આવતા હતા, પરંતુ પાલીતાણા પંથકમાં આંચકાની તીવ્રતા વધુ જણાઈ હતી.
કોડીનારમાં ખેડૂતનો આપઘાતનો પ્રયાસઃ કોડીનાર તાલુકાના એક ખેડૂતે તરબૂચનો પાક નિષ્ફળ જતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. આણંદપુર ગામના ખેડૂત રામસીંગભાઈ ડાડિયાએ વાવેલા તરબૂચના બિયારણની સબસિડી કે વાવેલા તરબૂચનો પાક નિષ્ફળ જતા સરકારી સહાય મેળવવા માટે સરકારી કચેરીના છ છ માસ સુધી ધક્કા ખાધા આમ છતાં તેને કોઈ સંતોષકારક જવાબ કે સહાય નહીં મળતા ભાંગી પડેલા ખેડૂતે કૃષિ મેળાના કાર્યક્રમ સ્થળે આત્મવિલોપનની ચીમકી આપી હતી.