પોરબંદરઃ વિઠ્ઠલ રાદડિયાનું રાજકારણ ખતમ કરવા ગોંડલના રમેશ ધડુકને વહીવટ કરીને ભાજપે ટિકિટ આપ્યાના આક્ષેપો વચ્ચે ભાજપના ઉમેદવારને હરાવવા જય સરદારના નારા સાથે પત્રિકાઓ વહેંચાઈ હતી. પત્રિકામાં જણાવ્યા મુજબ વિઠ્ઠલ રાદડિયાના મોભાને ખોખલો કરવા અને પછી જયેશ રાદડિયાનું પ્રધાનપદ પણ છીનવવા માટેનો પ્રયાસ થયો છે. જયેશભાઈ પર દબાણ કરી પોરબંદરની સભાઓમાં ભાજપને મત આપવા માટે વિનંતીઓ કરાશે અને જયેશભાઈએ આવું બોલવું જ પડશે, પરંતુ જો આપણે (રાદડિયા સમર્થકો, પાટીદારો) જો રમેશ ધડુકને જીતાડીશું તો પોરબંદરની સીટ પર રાદડિયા પરિવારને કદી ટિકિટ નહીં મળે, પણ આપણે રાદડિયા તરફી રહેવાનું છે. એવી પત્રિકાઓ વહેતી થઈ છે. રાદડિયાનું અપમાન કરીને ભાજપ આ સીટ જીતી નહીં શકે તેવો દાવો કરીને રમેશ ધડુકને હરાવવા સૌને સોગંધ ખાવા પત્રિકામાં અપીલ કરાઈ છે.