તલગાજરડાઃ ગણિકાઓની હાજરીમાં જ એકત્ર થયેલું ભંડોળ મોરારિબાપુએ ૧૭મીએ ચિત્રકૂટધામમાં ગણિકાઓને આપી દેવાનું સદ્કાર્ય કર્યું હતું. આ સમયે મોરારિબાપુએ વધુ એક વખત કહ્યું હતું કે, અયોધ્યામાં કરેલી માનસ ગણિકા મારે મન કુંભસ્નાન સમાન છે. એકેએક ગણિકા મારી દીકરી છે અને મારી તેમના પ્રત્યે બાપ તરીકેની ફરજ છે. તમને ક્યારેય એમ થાય કે અમારે ક્યાં જાવું? તો તલગાજરડા આવી જાજો. આ બાપનું ઘર છે. પૂરું માન, પૂરું સન્માન મળશે. બાપ તરીકે ખરો ન ઊતરું તો સમાધિ લઈશ બાપ, પણ ક્યારેય આ ઘરને પારકું ઘર ગણતા નઈ.
અયોધ્યામાં યોજાયેલી માનસ ગણિકા રામકથા સમયે જે ધન એકઠું થયું હતું એ રકમમાં રૂ. અગિયાર લાખનું ભંડોળ ઉમેરીને કુલ રૂ. ૬૯૨૫૮૬૯પનું ‘ગણિકા કલ્યાણ ભંડોળ ’ એકઠું થયું હતું જે મોરારિબાપુએ એવી તમામ સંસ્થાઓને અર્પણ કર્યું જે ગણિકાના કલ્યાણાર્થે કામ કરે છે. મોરારિબાપુએ કહ્યું હતું કે, આ દીકરીઓનો સમાજે તિરસ્કાર કર્યો, પણ તેમણેય કોઈના માટે લાગણી દેખાડી એ જ પ્રેમ છે, તેમણે કોઈના માટે આંસુ પાડ્યાં એ કરુણા છે અને આજે પણ તેઓ જીવનનર્વિાહ માટે ઝઝૂમે છે એ સત્ય છે. આ સત્ય, પ્રેમ અને કરુણા જ જીવન છે જેને હવે ઉજાગર કરવાનું છે.
કાર્યક્રમમાં મુંબઈ, કાનપુર, ગ્વાલિયર, રાજકોટ અને કલકત્તાની ગણિકાઓથી હાજર હતી. બાપુએ કહ્યું હતું કે, જો કોઈ ગણિકાને લગ્ન કરવાં હશે તો તેણે ચિત્રકૂટધામમાં જાણ કરવાની રહેશે. દર કારતક માસમાં અહીં લગ્ન થાય છે એમાં આ દીકરીનાં લગ્ન પણ ધામધૂમથી થશે.