ખંભાળિયા: ભાણવડ તાલુકાના રોઝડા ગામે રહેતા એક અનુસુચિત જનજાતિના પરિવારની સગીર વયની પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. ૨૮મી જૂનની રાત્રે સગીર બાળકી ઘેર એકલી હતી ત્યારે જયેશ સકરાભાઈ ભાદરવડા ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે બાળાના મોઢે હાથ દઈ બોલતી કે બૂમો પાડતી બંધ કરી દીધી હતી. બાળા કંઈ પણ સમજીને સામનો કરી શકે તે પહેલાંં નરાધમ જયેશ ભાદરવડાએ તેના પર જોર જબરદસ્તી કરીને બળાત્કાર ગુજાર્યો હતો.
દુષ્કર્મનો ભોગ બનેલી સગીર બાળકીને જયેશે દુષ્કર્મ બાદ એવી ધમકી પણ આપી હતી કે જો કોઈને કહીશ તો તને મારી નાંખીશ. એ પછી જયેશ ભાગી ગયો હતો. બાળાએ પરિવારને જાણ કરતાં તેની માતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.