પોરબંદરના એમજી રોડ પર મુખ્ય બજારમાં આવેલ 192 વર્ષ પુરાણું મહાલક્ષ્મી માતાજીનું મંદિર ભાવિકોમાં આસ્થાનું કેન્દ્ર છે. દિવાળીના તહેવારોને અનુલક્ષીને મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા 51 દંપતીના હસ્તે મહાપૂજા કરાવવામાં આવી હતી. આ પ્રસંગે મહાલક્ષ્મી માતાજીને રૂ. 31 લાખની નવી ચલણી નોટ વડે શૃંગાર કરવામાં આવ્યા હતા. આ અનોખા પ્રસંગે સવારથી જ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને દિવાળીના સપરમા દિવસોમાં મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. મંદિરના ટ્રસ્ટ દ્વારા દિપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે 21 મણ કંકુ માતાજીને ધરવામાં આવ્યું હતું, બાદમાં તેના પાઉચ બનાવીને મંદિરમાં દર્શને આવતી બહેનોને આ કંકુની પ્રસાદીનું વિતરણ કરાયું હતું.