દ્વારકા પંથકના ભાટિયા પાસેના કેનેડી ગામમાં રહેતા નારણભાઇ અનોખા રાષ્ટ્રીય પક્ષી મોર પ્રેમી છે. તેમણે બાળપણથી જ અત્યાર સુધીનું જીવન મોર માટે સમર્પિત કર્યું છે. મોરઘેલાની ઉપમા મેળવનાર નારણભાઈ તાજેતરમાં મોરના નિભાવ માટે કેન્યાના ૨૦ દિવસના પ્રવાસે ગયા હતા. ત્યાં મૂળ માંઠા ગામના જયંતીભાઇના મહેમાન બન્યા હતા.
આ રોકાણ દરમિયાન નારણભાઈએ કેન્યામાં ઇન્ડિયા કાઉન્સિલના ચેરમેન નીતિન માલદે ઉપરાંત અનેક વતનીઓની મુલાકાત લઇને મોરની સેવાની વિગતો આપી હતી. તેમણે મોરને ચણ માટે ટહેલ નાખતાં રૂ. ચાર લાખ જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી. દરેક ભારતીયે નારણભાઈની આ સેવાને બિરદાવી હતી. તેઓ આ રકમ મોર ઉછેર કેન્દ્રોમાં ૧૦૦થી વધુ મોરની સેવામાં વાપરશે.