વડિયા સ્વામીનારાયણ મંદિરના સાધુ આનંદસ્વરૂપદાજી સામે દુષ્કર્મની ફરિયાદ

Wednesday 27th February 2019 06:46 EST
 
 

જૂનાગઢ, વડિયાઃ જૂનાગઢમાં સ્વામીનારાયણના સાધુ આનંદસ્વરૂપદાજીએ પરિણીતાને તેના પતિ સાથે મનમેળ કરાવી આપવાની લાલચ આપી, કારના ડ્રાઇવરની મદદથી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ સાધુ વડિયાના દિવ્યધામ સ્વામીનારાયણ મંદિરના હોવાનું અને અગાઉ પણ વિવાદોમાં રહ્યા હોવાનું જાણવા મળે છે.
પોરબંદરની અને હાલ જૂનાગઢ રહેતી સ્વામીનારાયણ સંપ્રદાયની ભક્ત પરિણીતાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે, તેના પતિ સાથે કેટલાક સમયથી અણબનાવ હતો. કંટાળીને અમરેલીના વડિયામાં સ્વામીનારાયણ મંદિરના સ્વામી આનંદસ્વરૂપદાસજીને મહિલાએ તેનું દુઃખ જણાવ્યું હતું.
સ્વામીએ પરિણીતાની કથની સાંભળી મદદ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ સાધુની દાનત બગડી હતી અને સમાધાન કરાવી આપવાની લાલચે મોબાઇલ અને વોટ્સએપ દ્વારા મહિલા સાથે ગાઢ સંપર્ક કેળવ્યો હતો. એ પછી સ્વામીએ પરિણીતાને જૂનાગઢના શિશુમંગલ રોડ ઉપર બોલાવી કારમાં બેસાડી છરી બતાવી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને ધમકી આપી હતી કે આ અંગેની કોઇને જાણ કરશે તો મહિલાની દીકરીને ઉપાડી જઇશું. પરિણીતા ડઘાઇ ગઇ હતી અને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ અન્ય મહિલાઓએ હિંમત આપતા પરિણીતાએ પોલીસ ફરિયાદ કર્યાનું ખૂલ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter