રાજકોટઃ ગીર અભ્યારણ્યમાં આવેલા કનકાઈ માતાજીના પુરાતન મંદિરમાં વન્ય પક્ષીઓ અને પ્રાણીઓના ઉદ્ધાર માટે છઠી મેના દિવસે ૧૦૮ કુંડ યજ્ઞનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ તેમના કાર્યક્રમને વનવિભાગની મંજૂરી ન મળતાં તેમનો કાર્યક્રમ રદ કરાયો હતો. જોકે મંદિરમાં યજ્ઞનો કાર્યક્રમ તો યથાવત રહ્યો હતો.
ગીર સેન્ચ્યુરીમાં આવેલા કનકાઈ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વન્ય પક્ષીઓ અને પ્રાણીઓના ઉદ્ધાર માટે ૧૦૮ કૂંડ યજ્ઞનું રવિવારના રોજ કરાયું હતું. આ યજ્ઞ પ્રસંગમાં વિજયભાઈ રૂપાણી, અન્ય મંત્રીઓ, ભાજપના આગેવાનો કાફલા સાથે આવવવાના હતા, પણ કનકાઈ મંદિરમાં જો મુખ્ય પ્રધાનનો કાફલો આવે તો ગીર જંગલ વિસ્તારને ઘણું નુકસાન થાય અને અભ્યારણ્યમાં આ પ્રકારના કાર્યક્રમથી પ્રાણીઓને પણ ખલેલ પહોંચે. એવી લાગણી સાથે આ કાર્યક્રમ જાહેર થતાં જ પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કર્યો હતો અને એમની એવી માગણી હતી કે, આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ન આવે તો સારું.
વન્યપ્રેમીઓનું કહેવું હતું કે, મુખ્ય પ્રધાનની મુલાકાતના કારણે ગીર જંગલમાં રસ્તા પહોળા કરવા પડે અને ઝાડીઓ પણ હટાવવી પડે. આ ઉપરાંત પણ માનવ ચહલપહલ વન્યજીવો માટે સહજ ન હોય અને તેમની રોજિંદી જિંદગીમાં ખલેલ પેદા થશે. આ બધી કાર્યવાહીથી વન્યજીવન ખોરવાય તે હેતુથી મુખ્ય પ્રધાનનો કાર્યક્રમ રદ રહ્યો હતો.