રાજકોટઃ સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા મહાકાળી ચોકમાં હિન્દુ યુવતી બપોરના સમયે કથિત મુસ્લિમ યુવક ઝાકીર દિલુ ભટ્ટી સાથે બેઠી હતી ત્યારે એકાએક ત્યાં આવી ચડેલા યુવતીના પરિવારજનોએ મુસ્લિમ યુવાનને માર માર્યો હતો. એ પછી યુવાને કેટલાક મિત્રો સાથે મણિભાઇ ચોકમાં ધમાલ મચાવીને શ્રીરામ જન્મ ઉત્સવ સમિતિનું કાર્યાલય અને આસપાસની દુકાનો બંધ કરાવી હતી. મુસ્લિમ યુવાનોએ એક વ્યક્તિને માર પણ માર્યો હતો. જેને પગલે ૩૧મી માર્ચે સાવરકુંડલામાં કોમી તંગદિલી ફેલાઈ હતી. સાંજના સમયે શહેરના રાઉન્ડ વિસ્તારમાં પથ્થરમારો અને બોટલમારો થતાં ફરીથી અશાંતિ ફેલાઈ હતી.
પોલીસે તોફાનીઓને વિખેરવા માટે ટીયરગેસના ત્રણ શેલ છોડ્યા હતા. આ ઉપરાંત નેસડી રોડ પર દેવળા બેટ વિસ્તારમાં પણ દુકાનમાં તોડફોડ કરીને સળગાવાઈ હતી. સાવરકુંડલામાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે મોડેથી યુવતીના પિતાએ ઝાકીર દિલુ ભટ્ટી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમની સગીર પુત્રી ઘરે એકલી હતી ત્યારે આ યુવાને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી આ ઘટનાની સ્થિતિમાં નવા વળાંકો આવવાની શંકા છે.