ગાંધીનગરઃ કોંગ્રેસ માટે જીતની સીટ ગણાતી સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તાજેતરમાં મોટો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના બળવાખોર પૂર્વ ધારાસભ્ય લાલજી મેરને ફોર્મ પાછું ખેંચાવવા કોંગ્રેસને નાકે દમ આવી રહ્યો છે. જો લાલજી મેર નહીં માને તો આ સીટ ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સોમા ગાંડા જીતની બાજી હારશે એ પાક્કું ગણાય છે.
સોમવારે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હોઈ કોંગ્રેસ, ૨૦૧૭માં ભાજપની ટિકિટ ન મળતા કોંગ્રેસમાં આવેલા આ કોળી આગેવાનને સમજાવવા આકાશપાતાળ એક કરી રહ્યો છે. ચોટિલાના એમએલએ ઋત્વિક મકવાણા, દસાડા-ધંધુકાના એમએલએ નૌશાદ સોલંકી તથા રાજેશ ગોહિલ, પ્રદેશના ટોચના નેતાઓ લાલજી મેરને યેનકેન પ્રકારે સમજાવવા મરણિયા થયા છે.
જો લાલજી મેર ઉમેદવારી પાછી ન ખેંચે તો આ બેઠકના તળપદા કોળી સમાજના ૩.૫ લાખ મતદારોમાં ભાગલા પડે કેમ કે સોમા ગાંડા અને લાલજી મેર બંને આ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ભાજપના ઉમેદવાર ડો. મુંજપરા ચુંવાળિયા કોળી સમાજના હોઈ આ સમાજના ૨.૨૦ લાખ મત ભાગલા વગર સહેલાઈથી તેમને મળે.