વેરાવળ: વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવનાર તમામ યાત્રાળુઓ આગામી સમયમાં વિનામૂલ્યે ભોજન કરી શકે એ માટે ભોજનાલયનો પ્રારંભ થશે. ટ્રસ્ટ સંચાલિત હાલના ભોજનાલય પાસે જ આ નવું ભોજનાલય બનશે. આ અંગેની વિગતો આપતાં સોમનાથના ટ્રસ્ટી-સચિવ પ્રવીણ કે લહેરીએ જણાવ્યું કે, સોમનાથ મંદિર આઇકોન પ્લેસ બન્યા બાદ અનેક વિકાસકાર્યો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી થઈ રહ્યા છે. સોમનાથદાદાના દર્શને આવતા યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ ભોજનાલયનો પ્રારંભ થશે. હાલમાં સૌરાષ્ટ્રના અનેક તીર્થધામોમાં ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજનપ્રસાદી આપવામાં આવે છે.
સોમનાથમાં પણ પૂ. ડોંગરેજી મહારાજ પ્રેરિત અન્નક્ષેત્ર ચાલે છે. ત્યારે હવે ખુદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ સવારે ૧૧થી બપોરે ૩ અને સાંજે ૭થી રાત્રે ૧૧ સુધી સોમનાથ આવતા પ્રવાસીઓને વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપશે.