રાજકોટઃ બાર જયોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરમાં બિનહિન્દુઓને પ્રવેશ માટે ઊભા કરાયેલા નિયંત્રણો અંગે ખુદ હિન્દુ સમાજમાંથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. પ્રભાવક સંતો અને સંપ્રદાયના પ્રવકતાઓએ આ નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો છે. હિન્દુ ધર્મ માનવધર્મ છે અને તેમાં આવી વાડાબંધી શકય નથી તમામ માનવ માટે મંદિર પ્રવેશ હોવો જોઈએ તેવો મુખ્યસૂર ઉદભવ્યો છે. જયારે બીજી બાજુ કેટલાક સાધુ સંતોએ સીધી કે આડકતરી રીતે નિર્ણયને આવકાર્યો છે અને વિધર્મીઓને મંદિરમાં પ્રવેશ ન જ હોવો જોઈએ એમ પણ જણાવ્યું છે.
શું કહે છે સંતો
ભગવાન શિવ ત્રિભુવન ગુરૂ છે, ઈશ્વર છે, ભગવાન છે, પરમાત્મા છે અને એટલે એના દ્વાર બધા માટે ખુલ્લા હોવા જોઈએ. - મોરારિ બાપુ
વિધર્મીઓ માટે પ્રવેશબંધી આવકાર્ય છે. સોમનાથ મંદિર સિવાય દેશના અન્ય મંદિરોમાં પણ આ નિયમ છે. - સ્વામિ સચ્ચિદાનંદ
ધાર્મિક સ્થાનોમાં ભક્તિભાવથી પ્રવેશ અંગે વ્યક્તિ માટે પ્રતિબંધ ન હોઈ શકે. કોઈપણ વ્યક્તિ દર્શન માટે આવી શકે. - કૃષ્ણમણિજી
નિર્ણય જરૂરી લાગ્યો એટલે લીધો. સોમનાથમાં ઓળખપત્રથી પ્રવેશની વિચારણા કરાશે. - પ્રવીણ કે. લહેરી-સચિવ, સોમનાથ ટ્રસ્ટ
મોઢવાડામાં મૂળ મેણંદ મોઢવાડિયાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવઃ પોરબંદરના મોઢવાડામાં જન્મેલા વીર યોદ્ધા મૂળ મેણંદ મોઢવાડિયાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરાયું છે. ૧૨ જૂને યોજનારા આ કાર્યક્રમની સાથે મહાપ્રસાદી અને સંતવાણીનું પણ આયોજન છે. મોઢવાડિયા પરિવાર દ્વારા તેમની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે મોઢવાડા ગામે રામમંદિરની બાજુમાં પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞનો પ્રારંભ થશે. ૧૨ મેએ મોઢવાડામાં આવેલા લીરબાઈ માતાજીના મંદિરે સમસ્ત ગામના જમણવારનું આયોજન છે. સાંજે મણિયારો દાંડિયા રાસ અને રાત્રે બારોટજીનું પ્રવચન અને સંતવાણીનું આયોજન છે.