રાજકોટઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસદણ નજીકના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા-અર્ચના કર્યા બાદ ચોથી સપ્ટેમ્બરે જાહેરસભા સંબોધી હતી.
આ સાથે રાષ્ટ્રપતિએ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજના સૌની યોજના લિંક-૪, બીજા તબક્કાના રૂ.૧૦૬૮.૬૩ કરોડના કામોનું ખાતમુહૂર્ત ઇ-તક્તી દ્વારા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કર્યું હતું.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિના ચૂંટણી પહેલા અમદાવાદની મુલાકાત લીધી હતી ત્યારે એક સ્વાગત કાર્યક્રમમાં એક મહાનુભાવે કહ્યું હતું કે, આપ મહામહિમ બનવાની રેસમાં છો તો ગુજરાતને ભૂલી જશો? ત્યારે મેં પૂછ્યું કે માપદંડ શું છે? ત્યારે પાછળથી ફરી અવાજ આવ્યો કે તમે ગુજરાતમાં આવતા રહો તો માનીશું કે ગુજરાતને ભૂલ્યા નથી. તો આજે જાહેર છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ મારી કોઇપણ રાજ્યની સત્તાવાર પ્રથમ મુલાકાત હોય તો તે ગુજરાતની છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં દુકાળ ભૂતકાળ બની જશે.
આ સાથે...
• રાષ્ટ્રપતિએ ‘કેમ છો’ કહ્યું અને પ્રવચન પૂરું કરતાં ‘તમારા બધાનો આભાર’ ગુજરાતીમાં કહ્યું.
• રસ્તા પર લાગેલા રાષ્ટ્રપતિના કાર્યક્રમના બેનરો કોઇ ટિખ્ખળીએ ફાડી નાંખ્યા હતાં.
• રાષ્ટ્રપતિ સત્તાવાર કાર્યક્રમ કરતાં ૨૦ મિનિટ વહેલા આવ્યા.
• પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ ખાસ હાજર હતાં.