પોરબંદરઃ હિમાચલ પ્રદેશના કિનુર જિલ્લાના ભાભાનગર પાસે બે દિવસ પૂર્વે થયેલા ભૂસ્ખલનને કારણે અંદાજે ૩૦ જેટલા લોકો ફસાયા છે. જેમાં પોરબંદર સહિત ગુજરાતના પાંચ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જોકે આ તમામ સલામત હોવાનું જાણવા મળે છે, પરંતુ પોરબંદરના મહેર યુવાનનો પરિવાર આ બનાવથી ચિંતિત બન્યો છે. પોરબંદરમાં કન્સ્ટ્રકશન અને ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા મહેર યુવાન અમિતભાઈ ભુતિયા અને તેમના અન્ય બે મિત્રો આજથી ૧૦ દિવસ પૂર્વે હિમાચલ ફરવા માટે ગયા હતા.