વેરાવળ: પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ત્રિવેણી ઘાટ અને હિરણ નદીમાંથી માટી અને કાંપ કાઢવાની કામગીરીનો પ્રારંભ આઠમી મેએ કરાવ્યો હતો. આ પ્રંસંગે તેમણે યાત્રાઘામ સોમનાથને વેજ ઝોન જાહેર કરવા સરકાર તત્કાળ નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વેરાવળને મહાપાલિકાનો દરજ્જો મળવાથી જિલ્લાના ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.
૮મીએ રાજ્યના વિજયભાઈ રૂપાણી સવારે સોમનાથ આવી પહોંચ્યા હતા. પ્રથમ તેઓ સોમનાથ મંદિરે ગયા હતા. ત્યાં તેમણે મહાદેવ સમક્ષ શિશ ઝુકાવી વિવિધ દ્રવ્યો અને પંચામૃત વડે પૂજન - અભિષેક કરીને ભગવાનની આરતી ઉતારી હતી.
તેમણે સોમનાથ ભગવાન સમક્ષ રાજ્યની સુખ - શાંતિ સાથે આગામી વર્ષાઋતુમાં સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. એ પછી મંદિર પરિસરમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્ય પ્રધાનનો કાફલો સોમનાથ નજીકના ત્રિવેણી સંગમના તટે પહોંચ્યો હતો. ત્યાં હિરણ નદીમાંથી કાંપ અને માટી કાઢવાના કાર્યનો પ્રારંભ મુખ્ય પ્રધાને કરાવ્યો હતો.