રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખેતી લાયક વરસાદની ખાસ જરૂરીયાત હતી ત્યારે જ ગત સપ્તાહે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના અંજાર અને દક્ષિણ ગુજરાતના ડાંગ પંથકમાં વરસાદ નોંધાયો છે. જોકે, રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદ નહીં હોવાથી ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે. આ ઉપરાંત વાતાવરણમાં પણ ગરમી અને બફારાનું પ્રમાણ વધારે અનુભવાય છે. સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક અને અન્ય સ્થળે અડધાથી સાડા ચાર ઇંચ જેટલો છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી વરસાદ પડવામાં વિલંબ થવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. પાક નિષ્ફળ જવાની અણી પર હતો ત્યાં જ વાવાઝોડાની અસરથી થયેલા વરસાદને કારણે પાકને જીવતદાન મળ્યું હતું. જોકે, આ વરસાદને કારણે વીજળી ત્રાટકવાના ૧૬ બનાવમાં છ વ્યક્તિ, ૨૩ પશુના મોત થયા છે જ્યારે લોકોને ઇજા પહોંચી હતી. આ ઉપરાંત બે સ્થળે નુકસાની થઇ છે. સૌથી વધુ જામનગર જિલ્લાના જામજોધપુરનાં વાંસજાળીયામાં આભ ફાટ્યું હોય એમ આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જામજોધપુર, માણાવદર અને ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં ચાર ઈંચ પાણી પડ્યું હતું.
જ્યારે દક્ષિણ ગુજરાતના દંડકારણ્યવન ડાંગ જિલ્લામાં મેઘરાજાનું લાંબા વિરામ પછી આગમન થયું હતું. ડાંગના પ્રવેશદ્વાર વઘઈ ખાતે વીજળીના તડાકા અને ભડાકા સાથે મૂશળધાર વરસાદ પડ્યો હતો. ત્યાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે રાજ્યના એક માત્ર ગિરીમથક સાપુતારા તથા ડાંગના મુખ્ય મથક આહવામાં રીમઝીમ વરસાદ વરસ્યો હતો. જ્યારે કચ્છના અંજારમાં ૮ સપ્ટેમ્બરે ભારે પવનની સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો અને માત્ર દોઢ કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ વરસતાં જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અંજાર શહેરના ઐતિહાસિક સવાસર તળાવ, સિદ્ધેશ્વર, ખાડિયા, તળાવોમાં નવા વરસાદી પાણીની આવક શરૂ થઈ હતી.


