ગાંધીનગરઃ રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણી યોજવા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ ગુજરાતના ચીફ ઈલેક્શન ઓફિસર - CEO પાસે અધિકારીઓના નામો સાથે તૈયારીની વિગતો માગી હતી. કમિશને CEOને પાઠવેલા પત્રમાં ‘સેપ્રેટ’ શબ્દ પ્રયોજાતા અલગ અલગ ટર્મની બે બેઠકો માટે અલગ અલગ બેલેટથી મતદાન થશે તે સત્તાવારપણે સ્પષ્ટ થતાં બેઉ બેઠકો ભાજપે ફાળે જશે તે પણ નિશ્ચિત છે. આ પેટા ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે થશે. ૧૪મી વિધાનસભામાં સાંપ્રત સમયે ભાજપના ૧૧૧ અને કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો છે. આથી અલગ અલગ મતપત્રકો સાથે યોજનારી ચૂંટણીમાં બંને બેઠક ભાજપના હિસ્સે જશે.
ઓગસ્ટ ૨૦૧૯માં ચૂંટાયેલા સ્વ. એહમદ પટેલની આ બેઠકની ટર્મ ઓગસ્ટ-૨૦૨૩માં પૂર્ણ થતી હતી જ્યારે જૂન-૨૦૨૦માં ચૂંટાયેલા સ્વ. અભય ભારદ્વાજની મુદ્દત જૂન-૨૦૨૬ સુધીની હતી. કમિશને CEOને આપલી સુચનામાં બંને બેઠકોની સામાન્ય ચૂંટણી સંદર્ભે હાઈ કોર્ટમાં કોઈ અરજી દાખલ થઈ છે કે કેમ? અને અરજીમાં અરજદાર તરફથી પરાજિત ઉમેદવારને જીતેલો જાહેર કરવા માગ થઈ છે કે કેમ? તેની વિગતો મોકલવા પણ કહ્યું છે.
સ્વ. ભારદ્વાજની બેઠક નીતિન ભારદ્વાજને મળે તેવી ચર્ચા
અભય ભારદ્વાજના અવસાનથી ખાલી પડેલી રાજ્યસભાની બેઠક રાજકોટને જ ફાળવાશે તેવી સ્થાનિક ભાજપમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ બેઠક તેમના ભાઈ નીતિન ભારદ્વાજને મળશે તેવા મેસેજ વહેતા કરવામાં આવ્યા છે. નીતિન ભારદ્વાજ ભાજપ સંગઠનમાં અનેક મહત્ત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.