અમદાવાદઃ બાપુનગર મોનાપાર્ક સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય અમિષા પીયૂષભાઈ પટેલે સાતમીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, સમાજના રીતરિવાજ મુજબ ૩૫ વર્ષીય પીયૂષ જયંતીભાઈ પટેલે ૪ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ તેમની સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી અમિષાબહેન પતિ પાસે સ્પેન ગયા હતા. માર્ચ, ૨૦૧૭માં અમિષાબહેન પતિ સાથે સ્પેનમાં હતા ત્યારે નાની મોટી વાતે પતિ સાથે ઝઘડા થતા હતા.
અમિષાબહેન સ્પેનમાં સુપર માર્કેટમાં નોકરી કરતા હતા. તેનો પગાર પતિ લઈ લેતો હતો. એ પછી ફેબ્રુઆરી, ૨૦૧૯માં અમિષાબહેનને લઈને પીયૂષ ભારત આવ્યો હતો. ‘મને તું ગમતી નથી’ તેમ તે વારંવાર કહેતો હતો. માર્ચ, ૨૦૧૯માં પીયૂષ પત્નીને કહ્યા વગર પાસપોર્ટ સહિતના જરૂરી દસ્તાવેજો લઈ સ્પેન જતો રહ્યો હતો. આ અંગે પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

