અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમમાં ૨૦મી મે, ૧૯૯૬ના રોજ ભાજપના સિનિયર નેતા આત્મારામ પટેલ સહિત ભાજપના નેતાઓ પર હુમલા અને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આત્મારામ પટેલનું ધોતિયું કાઢીને મારવામાં આવ્યા હતા. ભાજપના જે નેતાઓ પર હુમલો થયો હતો તે શંકરસિંહ વાઘેલાના ટેકેદારો હતા અને ભાજપમાં બળવો થતાં વાઘેલા સાથે ખજૂરાહો ગયા તેથી હુમલો થયો હતો. આ કાંડમાં તપાસમાં અમુક નેતા અને આત્મારામની સામે મેટ્રોપોલિટન કોર્ટમાં સમન્સ નીકળ્યું ને કોર્ટમાં હાજર રહેવા આદેશ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, આત્મારામ પટેલનું તો અવસાન થઈ ચૂક્યું છે. આ મામલે જોકે વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા પ્રવીણ તોગડિયા સહિત નવ જણાએ કોર્ટમાં હાજર થઈને બિનજામીન લાયક વોરંટ રદ કરાવી નાંખ્યા હતા. વળી, આ કેસમાં પ્રવીણ તોગડિયા સહિત ૮ આરોપીઓને એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે. એ. બારોટે બિનજામીનલાયક વોરંટ રદ કરી ૧૫ હજારના જામીન પર મુક્ત કર્યા હતા તો તોગડિયાએ કહ્યું હતું કે, મારી સામે જારી થયેલા ૫ સમન્સ પોલીસે મને આપ્યા જ નથી.


