અમદાવાદઃ જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઉદ્યોગગૃહના સ્થાપક સ્વ. ધીરુભાઈ અંબાણીના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીનું ૯૫ વર્ષની જૈફ વયે ૨૭મી જુલાઈએ બપોરે અમદાવાદમાં અવસાન થયું છે.
ધીરુભાઈ પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા તથા રમણિકભાઈના ભત્રીજા મુકેશ અંબાણી પરિવાર સાથે લંડનમાં હોવાથી તેઓ રમણિકભાઈની અંતિમક્રિયામાં હાજરી આપી શકે તેમ નથી. જોકે, તેઓએ તેમના મોટા કાકાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ ૧૭ વર્ષના હતા ત્યારે રમણિકભાઈએ તેમને અખાતી દેશ એડન બોલાવ્યા હતા અને ત્યાં ધીરુભાઈએ પેટ્રોલ પંપ પર એટેન્ડન્ટની નોકરી શરૂ કરી હતી. આ ઉપરાંત જૂનાગઢની જાણીતી સંસ્થા શિશુમંગલમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ તેઓ કાર્યરત હતા. રમણિકભાઈના પુત્ર વિમલના નામ પરથી રિલાયન્સ ગ્રુપની જાણીતી બ્રાન્ડ વિમલ અસ્તિત્વમાં આવી હતી. અમદાવાદમાં વિમલ મિલને સુસ્થાપિત કરવામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો.