અમદાવાદ: સ્વ. લોકગાયક મણિરાજ બારોટની સૌથી મોટી પુત્રી મેઘલના તાજેતરમાં લગ્ન હતાં. આ લગ્નમાં તેની ત્રણ નાની બહેનોએ તેનું કન્યાદાન કર્યું હતું. મોટી બહેનની ઇચ્છા હતી કે, તેનું કન્યાદાન નાની બહેનોના હાથે જ થાય. અખાત્રીજે વૈષ્ણોદેવી પાસેના પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્નની પીઠી ચોળવાની વિધિમાં ગાયિકા કિંજલ દવે પણ હાજર હતી.
લગ્નના સ્થળે સ્વ. મણિરાજ બારોટની તસવીર પણ મુકાઈ હતી. પિતાના નિધન બાદ ૧૩ વર્ષની વયે રાજલે ઘરની જવાબદારી સંભાળી હતી. ભવિષ્યમાં બે નાની બહેનોનું કન્યાદાન પણ પોતે જ કરશે તેમ જણાવતા લોકગાયિકા રાજલ કહે છે કે, પિતાના અવસાન પછીના દિવસોમાં હું ૨૦૦ રૂપિયામાં એક શો કરતી. મારી પર બહેનોની જવાબદારી હતી. હું એ વખતે ધો. ૮માં ભણતી હતી. લોકો પિતાના નામથી મને પણ ઓળખતા થયા હતા. આવકમાં વધારો થતા મેં મારી ટીમ બનાવી. મેં મારી નાની બહેન હીરલને એમબીએ સુધી ભણાવી અને તેજલે આ વર્ષે જ ધો. ૧૦ની પરીક્ષા આપી છે.
સમાજે ચારેય બહેનોનાં નિર્ણયને આવકાર્યો
રાજલ બારોટ કહે છે, મારી મોટી બહેને ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેનું કન્યાદાન હું કરીશ. અમે નિર્ણય કર્યો કે, મોટી બહેનના લગ્નમાં નાની બહેન કન્યાદાન કરશે.