સ્વામીનારાયણ સાધુની ટિપ્પણી બાદ કલાકારોએ પુરસ્કાર પાછો આપ્યો

Wednesday 18th September 2019 07:03 EDT
 
 

અમદાવાદઃ રામકથાકાર મોરારિબાપુએ ‘લાડુડી ખાઈને નીલકંઠ ન થવાય’ તેવું નિવેદન કર્યું એ પછી સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં રોષ પ્રગટ થયો હતો. આક્ષેપ પ્રતિઆક્ષેપ પછી સનાતન ધર્મ સંત સંમેલનમાં જૂનાગઢમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વતી મેયર ધીરૂભાઇ ગોહેલ હાજર રહ્યા હતા. તેમણે સંમેલનની આગેવાની લેનાર ઇન્દ્રભારતી બાપુને ખાતરી આપી કે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઇ પણ સંત હવે વિવાદિત નિવેદનો નહીં આપે. બીજી તરફ, ખાખી અખાડાના સંત અખિલેશ્વરદાસ મહારાજે પણ સ્પષ્ટ કર્યું કે મોરારિબાપુની માફીનો સ્વીકાર કરાયો છે. આ બધા વચ્ચે સ્વામીનારાયણ સંપ્રદાયના સંત વિવેકસ્વરૂપદાસજીનો કલાકારો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વિડિયો ફરતો થતાં વિવાદમાં ઘી હોમાયું હતું. વિવેકસ્વરૂપદાસજી વીડિયોમાં કહેતા દર્શાવાયા હતા કે ‘કલાકારો તો દારૂ પીને સ્ટેજ પર પ્રોગ્રામ કરતા હોય છે’. આ ઉપરાંત સરધારમાં અપાતા ‘રત્નાકર એવોર્ડ’ વિશે અન્ય એક ટિપ્પણી કરતા રોષે ભરાયેલા કલાકારોએ પુરસ્કાર પરત કરી વિરોધ નોંધાવ્યો છે. જોકે બાદમાં વિવેકસ્વરૂપદાસજીએ આ નિવેદન મુદ્દે માફી માગી હતી.
પુરસ્કાર વાપસી
લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, અનુભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ અને સાંઇરામ દવે સહિતના ટોચના કલાકારોએ રત્નાકર એવોર્ડ આપનાર સરધાર સ્વામીનારાયણ સંસ્થાને એવોર્ડ અને તેની સાથે પુરસ્કારરૂપે અપાતી ૫૦ હજારની રકમ કુરિયર કરીને પરત કરી છે. લેખક જય વસાવડાએ પણ પોતાનો પુરસ્કાર અને પુરસ્કારની રકમ રૂ. ૨૧૦૦૦ પરત કર્યાં છે. આ સાથે સોશિયલ મીડિયા પર અનેક કલાકારોએ વિવેકસ્વરૂપદાસજીની ટિપ્પણી અંગે પોતાનો વિરોધ દર્શાવતો વીડિયો અપલોડ કરીને રોષ ઠાલવ્યો હતો.
મોરારિબાપુની સાથે કલાકારોનું અપમાન
લોકગાયક માયાભાઈ આહિર સહિત કલાકારોએ એવોર્ડ પરત આપતાં જણાવ્યું કે, મોરારિબાપુએ માફી માગી પોતાનું સાધુત્વ દેખાડ્યું, પરંતુ સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોએ મોરારિબાપુની સાથે તેમના સમર્થનમાં આવેલા કલાકારોને પણ છોડ્યા નથી. પહેલાં ભગવાન શિવનું અપમાન કર્યું ત્યાર બાદ, મોરારિબાપુનું અને હવે કલાકારો દારૂ પીને સ્ટેજ પ્રોગ્રામ કરે છે તેવી વિવેકસ્વરૂપદાસજીની ટિપ્પણીએ ગુજરાતના કલાકારોનાં હૃદયને પણ ઠેસ પહોંચાડી છે. એક સાધુની વાણીમાં વિવેક હોવો જોઈએ. માયાભાઈ આહિરે કહ્યું કે, આ સાથે વિવેકસ્વરૂપદાસજીના માફી માગતા વીડિયોમાં તેઓએ સરધારમાં કલાકારોને અપાતા રત્નાકર એવોર્ડ કારણ વગરનો ઉલ્લેખ કરીને અમારા પર સંસ્થાએ ઉપકાર કર્યો હોય તેવું નિવેદન આપ્યું છે આથી તેમના ઉપકારના ઋણમાંથી મુક્ત થવા અમે કલાકારો એવોર્ડ પરત આપીને અમારો વિરોધ નોંધાવી
રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter