ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં ચાણક્ય બનીને અમિત શાહ કઈ રીતે આગળ વધતા ગયા તેનો ખુલાસો ભાજપ પ્રમુખ વિશે લખવામાં આવી રહેલા પુસ્તકથી થશે. લગભગ ૨૦૦ પાનાનું આ પુસ્તક જુલાઈ સુધીમાં પ્રકાશિત થશે. તેમાં અમિત શાહ પોતે જણાવે છે કે તેઓ વડા પ્રધાન મોદીના સેનાપતિ બનીને કઈ રીતે આગળ વધ્યા હતા. પેંગ્વિન પ્રકાશન આ પુસ્તકને પ્રકાશિત કરી રહ્યું છે. જ્યારે તેના લેખક પત્રકાર પૂર્ણિમા જોશી છે. પ્રથમવાર પ્રસિદ્ધ થઈ રહેલી અમિત શાહની આત્મકથા સમાન ‘મોદીસ મેનઃ ધ રાઇઝ એન્ડ રાઇઝ ઓફ અમિત શાહ’ને ભાજપ પ્રમુખે પોતાની મંજૂરી આપી છે.
આ પુસ્તકની શરૂઆત અમિત શાહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે પોતે જોડાયા ત્યારથી કરે છે. ત્યારથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના તત્કાલીન પ્રચારક નરેન્દ્ર મોદીના સતત સંપર્કમાં હતા. આ પુસ્તક એબીવીપીના કાર્યકર્તાથી મોદીના ચાણક્ય બનવા સુધીની શાહની સફર ને દર્શાવે છે. પુસ્તકમાં ૧૯૯૫માં તે સમયનો પણ ઉલ્લેખ પણ છે જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા.
કેશુભાઈના દબાણમાં ગુજરાત ભાજપથી નરેન્દ્ર મોદીને દિલ્હી કાર્યાલય મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુજરાતના નેતાઓને મોદી સાથે કોઈ સંપર્ક નહીં રાખવાની ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં અમિત શાહે સતત મોદી સાથે સંપર્ક રાખ્યો હતો અને તેમની નજીક બની રહ્યા હતા.
વર્ષ ૨૦૦૧માં મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે આ રાજ્યમાં તેમના વિરોધીઓની સંખ્યા ઘણી હતી. આ મુશ્કેલીના સમયમાં વર્ષ ૨૦૦૨નાં કોમી તોફાનો પછી અમિત શાહે જ ‘ગુજરાત ગૌરવ’ યાત્રાની રૂપરેખા તૈયાર કરી હતી. તે પછી અમિત શાહ મોદીના સૌથી ખાસ સેનાપતિ બની ગયા. વર્ષ ૨૦૧૨માં જ્યારે સુપ્રીમ કોર્ટે નકલી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ પરથી ગુજરાતમાં પ્રવેશ નહીં કરવાનો પ્રતિબંધ હટાવ્યો હતો ત્યારે શાહે એક બહુચર્ચિત ઇન્ટરવ્યૂમાં મોદીને વડા પ્રધાન પદના એકમાત્ર અને સૌથી મજબૂત દાવેદાર ગણાવ્યા હતા. આ પહેલી વાર હતું જ્યારે ભાજપના કોઈ નેતાએ મોદીની ખૂલીને તરફેણ કરી હતી.
હવે અમિત શાહ અંગે પુસ્તક, વિવાદ ઊભો થશે?