અમદાવાદઃ કોરોનાના કેસમાં સતત થઇ રહેલા વધારાને પગલે ગુજરાતમાં પ્રવેશતા અગાઉ પ્રત્યેક માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજીયાત કરાયો છે. જોકે આ નિયમ કરાયો છે ત્યારથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે અરાજક્તાભરી સ્થિતિ સર્જાઇ રહી હતી. આથી હવે ગુજરાત સરકાર દ્વારા એવો નવો આદેશ જાહેર કરાયો છે કે અન્ય રાજ્યથી આવી રહેલા મુસાફર પાસે RT-PCR ટેસ્ટ છે કે કેમ તેની એરલાઇન્સે જ સૌપ્રથમ ચકાસણી કરવી પડશે. ગુજરાત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે, ‘એરપોર્ટના ટર્મિનલમાં મોટી સંખ્યામાં મુસાફરોના આગમન થતું હોવાથી કોવિડ-૧૯નું સંક્રમણ ઝડપથી ફેલાય તેની સંભાવના રહેલી છે. જેના કારણે ગુજરાત બહારથી કોઇ મુસાફર તેની મુસાફરીનો પ્રારંભ કરે તે અગાઉ જ તેની પાસેથી એરલાઇન્સે RT-PCR ટેસ્ટ માગી લેવો પડશે. કોઇ મુસાફર પાસે RT-PCR ટેસ્ટ રિપોર્ટ નહીં હોય તો તેને ગુજરાતમાં પ્રવેશવા નહીં દેવાય. આમ છતાં તે મુસાફર ગુજરાતમાં આવવા માગતો હોય તો તેણે ગુજરાતના એરપોર્ટ ખાતે સ્વખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. એટલું જ નહીં તેણે તેનો નેગેટિવ રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી એરપોર્ટમાં જ રાહ જોવી પડશે.’
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રવેશતી વ્યક્તિ માટે ૧ એપ્રિલથી ટેસ્ટ ફરજીયાત કરાયો છે. જોકે, તેને લઇને એરપોર્ટમાં સૌથી વધુ અરાજક સ્થિતિ સર્જાઇ રહી છે. એરપોર્ટ ખાતે પ્રથમ દિવસે અનેક મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવા ઇન્કાર કર્યો હતો અને તેઓ ધરાર ટર્મિનલથી બહાર નીકળી ગયા હતા. આ ઘટનાના બીજા દિવસ બાદ તંત્રે કડક વલણ અપનાવ્યું હતું. જેના પગલે બીજી એપ્રિલે વારાણસીથી આવેલી ફ્લાઇટના મુસાફરો પૈકી પાંચ મુસાફરોની પોલીસ અટકાયત કરવામાં આવી હતી.