અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા ૨૮મી એપ્રિલે ૩૭૭૪ નોંધાઈ હતી અને ૧૮૧ દર્દીઓનાં કોરોનાથી મોત થયાં છે. ૪૩૪ લોકોને ડિસ્ચાર્જ કરાયાં છે. જોકે ગુજરાત માટે માઠા સમાચાર એ છે કે, અમદાવાદ સહિત રાજ્યના હોટસ્પોટ વિસ્તારો હવે કોરોનાના સ્ટેજ-૨ના એડવાન્સ સ્ટેજમાં છે. હાલમાં ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર હોટસ્પોટ સિટીમાં સામેલ છે. અમદાવાદ જેવા મહાનગરો ઉપરાંત ૨૯ જિલ્લામાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. હવે ગુજરાતના ૧૫થી વધુ હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પ્રવેશ કરી શકે છે અને ગુજરાતના હોટસ્પોટ વિસ્તારમાં કમ્યુનિટી ટ્રાન્સિશન વધી શકે છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકને જોતાં ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે છે.
આંકડા પર નજર કરીએ તો હોટસ્પોટ વિસ્તારમાં જ કેસનું પ્રમાણ સવિશેષ રહ્યું છે. કુલ કેસ પૈકી ૫૦ ટકાથી વધુ કેસ માત્ર હોટસ્પોટ વિસ્તારમાં જ નોંધાયાં છે. કોરોના સામે લડવા રાજ્ય આરોગ્ય વિભાગે રેપિડ ટેસ્ટ કરવાનું નક્કી હોવાનું પણ જણાવ્યું હતું. આરોગ્ય સચિવ જયંતી રવિએ ૨૮મી એપ્રિલે જણાવ્યું હતું કે, ૫૩૫૭૫ ટેસ્ટ કરાયા છે અને ૫૦૦૨૭ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્ય સરકારે ટેલિ મેડિસીન થકી કોરોનાની સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સ્પેન ઈટાલી કરતાં સ્થિતિ સારી
આરોગ્ય સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું કે સ્પેન, ઇટાલી અને ફ્રાન્સ આ બધાય દેશો ગુજરાત જેટલી જ વસ્તી ધરાવતા દેશો છે. સમગ્ર વિશ્વમાં ૩૫ દિવસથી કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. અત્યારે સ્પેનમાં આશરે ૯૪,પ૦૦, ફ્રાન્સમાં આશરે ૫૭૦૦૦ અને ઇટાલીમાં ૮૦૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. આ દેશોની સરખામણીમાં ગુજરાતમાં અત્યારે સ્થતિ સારી છે.
ગુજરાતમાં ‘વુહાન વાઇરસ’નો કહેર?
દેશમાં કોરોનાના દર્દીનો આંકડો ૨૭ હજારથી વધી ગયો છે. સંક્રમણને કારણે જે રાજ્યોમાં તબાહી વધી છે. તેમાં ગુજરાત સામેલ છે. તજજ્ઞો અને ડોક્ટરોના જણાવ્યા મુજબ ગુજરાત અને ઇન્દોરમાં મોતના વધતા આંકડાનું કારણ કોરોનાનો એલ-સ્ટ્રેન વાઇરસ હોઇ શકે છે. ગુજરાતના બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર જી. સી. જોશીએ કહ્યું કે તેમણે કોરોનાની સંરચના સંપૂર્ણ રીતે ડીકોડ કરી છે. તેમાં તેના ૩ મ્યુટેશન મળ્યા છે. ગુજરાતમાં ફેલાયેલો વાઇરસ અલ-સ્ટ્રેન પ્રકારનો છે. આ વાઇરસથી વુહાનમાં લોકો ઝડપથી મર્યા હતા. એટલે સંભવતઃ એ જ ઓરિજિનલ વાઇરસ ગુજરાતમાં અમેરિકા થઇને આવ્યો છે.
વાઇરસના બંધારણના ફરકથી રિકવરી દર ધીમો
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સાજા થવાનો દર ઓછો છે તેથી પાછળનું કારણ છે. કે ગુજરાતમાં ચેપ ફેલાવી રહેલો વાઇરસ અન્ય રાજ્યો કરતાં જુદો છે. આરોગ્ય સચિવ જંયતી રવિએ કેરળનું ઉદાહરણ આપતાં કહ્યું કે વિદેશમાંથી કેરળ આવેલાં યાત્રિકો અને ગુજરાત આવેલાં યાત્રિકો અલગ-અલગ પ્રકારના સ્ટ્રેન ધરાવતાં વાઇરસ લઇને આવ્યાં છે. તેથી કેરળ ગુજરાતના દર્દીઓ સાજા થવાનો દર ધીમો છે.
તો પણ ગુજરાતની સ્થિતિ યુરોપિયન દેશ કરતાં સારી
ગુજરાત સરકાર તરફથી જાહેર કરાયેલાં આંકડા અનુસાર ગુજરાતની કુલ વસતી યુરોપના દેશો ઇટાલી, સ્પેન, અને ફ્રાંસને સમકક્ષ છે. છતાં સ્વયંશિસ્ત અને લોડડાઉનના પાલનને કારણે પ્રથમ કેસ નોંધાયાના ૩૫માં દિવસે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાઆ દેશો કરતાં ઘણી ઓછી છે અને તે સરકાર તથા જનતાની એક મોટી ઉપલબ્ધિ કહેવાશે.
એલ-સ્ટ્રેન અને એસ-સ્ટ્રેનનો ફરક
• કોરોના વાઈરસના બે ઘાતક સ્ટ્રેન છે. એલ-સ્ટ્રેન અને એસ-સ્ટ્રેન. વુહાનથી આવેલો વાઈરસ એલ-સ્ટ્રેન છે. આ સૌથી ઘાતક છે. તેનાથી ચેપ લાગનાર દર્દી ઝડપથી મરી જાય છે.
• એસ-સ્ટ્રેનનો વાઈરસ એલ-સ્ટ્રેનના મ્યુટેશનથી જ બન્યો છે. આ ઓછો ઘાતક છે. કેરળમાં મોટાભાગના દર્દી દુબઈથી આવ્યા હતા. ત્યાં એસ-સ્ટ્રેન છે.
• ગુજરાતમાં અમેરિકાથી આવનારા લોકોની સંખ્યા વધુ હતી. ત્યાં એલ-સ્ટ્રેન છે. આથી ગુજરાતમાં મોતનો આંકડો વધુ છે.વડા પ્રધાનને સ્થિતિ જણાવી
ગુજરાતમાં કોરોના કોવિડ-૧૯ વાયરસના કારણે મૃત્યુદર કેમ વધારે કેમ છે તે બાબતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ સ્પષ્ટતા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કર્યા પછી મુખ્ય પ્રધાન રૂપાણીએ ૨૭મી એપ્રિલે જણાવ્યું હતું કે, વડા પ્રધાન સાથે વાતમાં તેમને ગુજરાતની સ્થિતિથી વાકેફ કરાયા છે. વડા પ્રધાનને જણાવ્યું છે કે રાજ્યમાં સઘન સર્વેલન્સ થતાં કોવિડ-૧૯ પર કંટ્રોલ મેળવી શકયા છીએ. ઉપરાંત રાજ્યમાં ૨૨,૫૦૦ બેડની સુવિધા થઇ જશે. રૂપાણીએ ગુજરાતના મૃત્યુઆંક વિશે કહ્યું હતું કે જે દર્દીઓને કેન્સર, હાઇપરટેન્શન, કીડની જેવા ગંભીર રોગ સાથે કોરોના થવાથી મૃત્યુ થાય છે, આવા આંક ૮૫ ટકા છે.
મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણીએ ૨૪મી એપ્રિલે પ્રજાજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના સંક્રમણની આ અસામાન્ય પરિસ્થિતિમાં ગુજરાતમાં પ્રજાએ લોકડાઉન સહિતની સરકારની વ્યવસ્થામાં સાથ સહકાર આપ્યો છે. પ્રજાને જે સંયમ અને સેલ્ફ ડિસિપ્લિન દર્શાવી છે. તે અભિનંદનને પાત્ર છે. લોકડાઉનને કારણે આપણે બહુ મોટી હોનારત અટકાવી શક્યા છીએ. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, નિઝામુદ્દીન મરકજથી આવેલા જમાતના લોકોએ ગુજરાતમાં કોરોનાના ફેલાવામાં મોટો ભાગ ભજવ્યો છે અને કાયદાકીય રીતે આ અંગે પગલાં લેવાશે.
લોકડાઉન લંબાઈ શકે!
રાજ્યમાં ઇન્ક્યુબેશન સાઈકલ પૂરી કરવા લોકડાઉન ૧૬મી મે સુધી સુધી લંબાઇ પણ શકે છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ છથી સાત દિવસનો છે. તેથી જો લોકડાઉન ખોલાય તો તે જોખમી સાબિત થઇ શકે તેમ છે. તેથી કોરોના વાઇરસના ૧૪ દિવસના ગણાતાં હજુ બીજા એક ઇન્ક્યુબેશન સાઇકલને પૂરું થવા દેવું જોઇએ અને પછી લોકડાઉન ખોલાય તેવી ચર્ચા ગુજરાત સરકારમાં અને કેન્દ્રના અધિકારીઓ વચ્ચે થઇ હોવાના સોમવારે અહેવાલ હતા.
અમદાવાદ સહિત ૩ શહેરો કર્ફ્યૂ મુક્ત
કોરોના સંક્રમણ અટકાવવા અમદાવાદ, રાજકોટ અને સુરતના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ હતો. જોકે આ ત્રણેય શહેરમાં કર્ફ્યૂની મુદત ૨૪મી એપ્રિલે પૂરી થઈ હતી. જોકે રાજ્યમાં ૩ એપ્રિલ સુધી લોકડાઉન યથાવત રહેશે. લોકો આવશ્યક ચીજો ખરીદવા માટે ઘરની બહાર નીકળી શકશે, પરંતુ કોઈ બિનજરૂરી બહાર નીકળશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૬મી એપ્રિલે રાજ્ય સરકારે કેટલીક યાદી મુજબની દુકાનો ખોલી શકાશે તેવું જાહેરનામું બહાર પાડ્યું હતું, પરંતુ ક્યાંક લોકોના વિરોધ તો ક્યાંક ભીડ જામતાં આ નિર્ણય છ કલાકમાં જ પાછો લેવાયો હતો. અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ થતાં શહેરના ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, દધિચી બ્રિજ કોરોનાનું સંક્રમણ ઘટે નહીં ત્યાં સુધી બંધ રહેશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડા પ્રધાન સાથેની વીડિયો કોન્ફરન્સ બાદ જણાવ્યું હતું કે, વડા પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ થઈ છે અને લોકડાઉનનું હાલમાં તો કડક પાલન રાજ્યમાં કરાવાશે.
અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર માટે ખાસ વ્યવસ્થા
લોકડાઉન પછી કોરોનાનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.
૧. એરપોર્ટ પર પ્રવાસીઓ માટેની ત્રણ સીટ પર વચ્ચેની સીટ પર ‘ચોકડી’નું નિશાન હશે આ સાથે ફક્ત બે જ પેસેન્જર બેસવાની વ્યવસ્થા કરાઈ છે.
૨. લગેજ માટે સ્કેનિંગ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે લગેજ મૂકવા અને લેવા માટે પીળા રંગના પટ્ટા દોર્યાં છે અને ચોક્કસ અંતર રખાશે.
૩. વિમાનમાં બેસવા માટે બોર્ડિંગ પાસ મેળવવા માટે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પીળારંગના પટ્ટા અને નિશાન કરીને એક મીટરનું અંતર રખાશે.
૪. તબીબો મેડિકલ સ્ટાફ સહિત કોરોના વોરિયર્સ માટે વ્યવસ્થા કરાઈ છે અને તેઓ સીધા જ ફ્લાઈટ પર જઈ શકશે.
• રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે લોકડાઉનનો આ છેલ્લો તબક્કો છે તેમાં વધુ ચુસ્ત અમલ કરાવાશે. તે માટે સુરક્ષાકર્મીઓને ચોક્કસ દિશા-નિર્દેશો અપાયા છે. જે દુકાનો ખોલવાની મંજૂરી નથી તેને ખોલવામાં આવશે તો દુકાનદાર અને ગ્રાહકો પર કાર્યવાહી થશે. પોલીસ-આરોગ્યકર્મીઓ પરના હુમલામાં ૧૫ ગુના નોંધાયા છે તેમાં ૩૮ લોકો પર પાસા હેઠળ કાર્યવાહી કરાઈ રહી છે.
• રાજ્યમાં લોકડાઉનના બીજા તબક્કા દરમિયાન નગરપાલિકા અને મહાનગરપાલિકાની બહારના ઉદ્યોગોને તબક્કાવાર છૂટ આપવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે પ્લમ્બર, કડિયા, કારપેન્ટર, ઇલેક્ટ્રિશિયન જેવા કારીગરો અને કાર મિકેનિકને તેમના કામકાજ શરૂ કરી દેવાની તાત્કાલિક મંજૂરી આપવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. જેથી આ લોકો સ્વરોજગારી કરીને આવક મેળવી શકે. દરમિયાનમાં રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકા સિવાયના વિસ્તારમાં આવેલી ૯૮ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ થશે. આ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવીને ઓનલાઈન ફી ભરવી પડશે.
• જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાય કરવાનો નિર્ણય બાર કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે મળેલી અરજીઓની સ્ક્રૂટીની કરીને ૮૫૦૦ વકીલના બેંક ખાતામાં ૫૦૦૦ રૂપિયા જમા કરાવાશે
• પ્રાથમિક શિક્ષણ નિયામકનો તમામ જિલ્લા શિક્ષણાધિકારીને વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના ભાગરૂપે તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો સ્કૂલો સુધી પહોંચાડવા આદેશ અપાયો છે. રાજ્યમાં ૮ જૂનથી નવું સત્ર શરૂ કરાશે.
• અમદાવાદના જમાલપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોરોનાને વાઈરસને હરાવીને સાજા થઈ ચૂક્યા છે. ૨૭મી એપ્રિલે એસવીપી હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી હતી. અંદાજે બે અઠવાડિયા જેટલી સારવાર બાદ તેઓના બે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓને ડિસ્ચાર્જ કરાયા હતા.