હાઈ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો, મંદિર પરિસરમાં જ ફરી જગન્નાથજીની રથાયાત્રા

Tuesday 23rd June 2020 17:12 EDT
 
 

અમદાવાદઃ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની અષાઢી બીજે અમદાવાદમાં નીકળતી રથયાત્રાએ પ્રથમ વખત નગરચર્યા ન કરતાં ૧૪૩મી રથયાત્રા મંદિરના પરિસરમાં જ કાઢવામાં આવી હતી. ઇતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી નહીં. મોડી રાત્રે ૨.૦૦ વાગ્યે હાઇ કોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજીને ફગાવી હતી. હાઇ કોર્ટે જણાવ્યું હતું કે, કોરાનાની મહામારીની સ્થિતિમાં કોર્ટ લોકોનાં જીવની ચિંતા કરે છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નહીં. મંદિરમાં જ ભગવાનની રથયાત્રા નીકળશે.
બે જ કલાક પહેલાં આવેલા કોર્ટના નિર્ણય પછી વહેલી સવારે ૪:૦૦ વાગ્યે અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરે મંગળા આરતી થઈ પછી જગન્નાથજી, સુભદ્રાજી તેમજ બલભદ્રનાં આંખે બંધાયેલા પાટા ખોલાયાં હતાં અને જગન્નાથજીને પ્રિય ખિચડાનો ભોગ ધરાવાયો હતો. એ પછી ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરીને ભગવાનના રથને ખેંચીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
૧૦ મિનિટ ભગવાને પરિક્રમા કરી
મુખ્ય પ્રધાને રથને પ્રસ્થાન કરાવ્યા પછી મંદિરની બહાર અને મંદિરની અંદર ભારે પોલીસ કાફલા વચ્ચે ત્રણેય રથે ૧૦ મિનિટ મંદિર પરિસરમાં એક એક પરિક્રમા કરી હતી. મંદિરના વડા મહંત દિલીપદાસજી સહિતના મહંતો અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ અને પોલીસવડા શિવાનંદ ઝાએ મંદિરની ઓફિસમાં રથને મંદિરના ગેટ સુધી લઈ જઈ પરત લાવવાની ચર્ચા કર્યા પછી પોલીસે રથને મંદિરના ગેટ સુધી નહીં લાવવાની તાકીદ હતી અને ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન થયું હતું.
૧૪ હાથી અને દરેક રથ પર ૧૦ ખલાસીઓને રથ ખેંચવા મંજૂરી મળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ મંદિર પરિસરમાં ફેરવાયો હતો. રથ ફેરવતી વખતે બલરામજીનો મુગટ નીચે પડી ગયો હતો. ‘હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી’, ‘જય રણછોડ, માખણ ચોર’થી મંદિર ગુંજી ઉઠ્યું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મંદિરેથી સવારે ૭:૧૦ વાગ્યે રવાના થઈ ગયા હતા. ૯:૩૦ વાગ્યે ભક્તોને થર્મલ ગનથી ચેક કરાયા બાદ લાઈનમાં મંદિરમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ હતી. બપોર બાદ ભક્તોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો અને ભક્તોએ ઘરે બેઠાં જ ભગવાન જગન્નાથનાં દર્શન કર્યાં હતાં.
એક જ દિવસમાં સાત અરજીઓ
કોરોનાના સંકટ વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા બાબતે અમદાવાદ હાઇ કોર્ટમાં ૨૨મી જૂને એક જ દિવસમાં સાત અરજીઓ કરાઈ હતી. બે દિવસ પહેલાં ૨૦મી જૂને હાઇ કોર્ટે રથયાત્રા કાઢવા રોક લગાવી હતી. આ નિર્ણયમાં સોમવારે શરતો સાથે રથયાત્રા કાઢવા હિંદુ યુવા વાહિની નામની સંસ્થાએ અરજી કરી હતી. ૨૨મીએ બપોરે ૨:૩૦ કલાકે અરજી પર તાકીદે સુનાવણીની માગ કરાઇ હતી. હાઇ કોર્ટે અરજી પર બપોરે ૩:૩૦ કલાકે સુનાવણી શરૂ કરીને ૧૨થી ૧૫ જ મિનિટમાં અરજીનો નિકાલ કર્યો હતો. દરમિયાનમાં સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રા કાઢવા શરતી મંજૂરી આપી તેના આધારે હાઇ કોર્ટના નિર્ણય પર પુનઃવિચારણા કરવા રિવ્યુ અરજી કરાઈ હતી. એ અરજીને પણ હાઇ કોર્ટે ૧૦ મિનિટમાં ફગાવી હતી. હાઇ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી તે દરમિયાન નરોડાના પંચદેવ મંદિરના અખિલેશ્વરદાસ મહારાજે હાઇ કોર્ટમાં શરતો સાથે રથયાત્રા કાઢવા મંજૂરી માગી હતી. જોકે આ અરજીની તાત્કાલિક સુનાવણી કરાઈ નહોતી. અમદાવાદમાં રથયાત્રા પર હાઇ કોર્ટે ફરમાવેલા મનાઇ હુકમને બદલવા થયેલી બે અરજી તો હાઇ કોર્ટે ૨૨ મિનિટમાં નકારી કાઢી હતી.
મધરાત્રે હાઈ કોર્ટમાં સુનાવણી
સોમવારે સાંજે જગન્નાથ મંદિરમાં આરતીમાં પત્ની અંજલિબહેન સાથે ઉપસ્થિત રહેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, એડવોકેટ જનરલ હાઇ કોર્ટમાં અરજી કરીને મંજૂરી માગશે. ત્યારબાદ આશરે રાત્રે ૯:૦૦ કલાકે સરકારે તાત્કાલિક સુનાવણી આપવા સાથે હાઈ કોર્ટમાં રથયાત્રા કાઢવા મંજૂરી માગતી અરજી કરી હતી. અંતે રાત્રે ૨:૦૦ વાગ્યે હાઈ કોર્ટે મંદિર પરિસરમાં જ રથયાત્રાને મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ૧૮ કિ.મી. લાંબી રથયાત્રાનો રૂટ જૂના અમદાવાદમાંથી પસાર થાય છે. જેમાં કોવિડ-૧૯ના કારણે અનેક બફર ઝોન, કન્ટેઇનમેન્ટ ઝોન તથા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન હોવાથી રથયાત્રા નીકળી નહીં.
હાઈ કોર્ટે ચુકાદામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને ટાંકીને મંદિર પરિસરમાં પ્રતીકાત્મક રથયાત્રા કાઢવા જણાવ્યું હતું. આ સાથે જ શ્રદ્ધાળુઓને મંદિરે નહીં આવવા અપીલ કરી હતી. હાઈ કોર્ટે કહ્યું કે મંદિર ટ્રસ્ટે ૨૦મી જૂનના ચુકાદા સામે અપીલ નથી કરી અને બાદમાં જે કોઈ અપીલ થઈ તે સ્વૈચ્છિક સંસ્થાઓ તથા વ્યક્તિઓ દ્વારા છે. જે દર્શાવે છે કે ટ્રસ્ટને ચુકાદા સામે કોઈ વાંધો નથી.
૨૨મી જૂનના રોજ ગુજરાત સરકાર શરતી પરવાનગી માટે ગુજરાત હાઈ કોર્ટમાં ગઈ તેના એક દિવસ અગાઉ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને મહંત દિલીપદાસજીને ગુજરાત હાઈ કોર્ટનો ચુકાદો માન્ય રાખી રથયાત્રા નહીં યોજવાનો નિર્ણય કરવા બદલ અભિનંદન આપ્યા હતા. મુખ્ય પ્રધાને ટ્વિટર પર લખ્યું હતું કે, મહંતશ્રી દિલીપદાસજી મહારાજ અને મંદિર ટ્રસ્ટીઓએ લાખો ભાવિક ભક્તોની પ્રવર્તમાન સમયની આરોગ્ય સુખાકારીને ધ્યાને લઈને કરેલા આ સ્તુત્ય નિર્ણય માટે અભિનંદન પાઠવું છું. અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા અંગે આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિમાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મંડળે જે સમયોચિત નિર્ણય કર્યો છે તેને આવકારું છું.

મંદિર પરિસરમાં નીકળી રથયાત્રા
૪:૦૦ ભગવાનની મંગળા આરતી
૪:૩૦ ભગવાનના પાટા ખોલવામાં આવ્યા
૪:૪૫ ખિચડાનો ભોગ ધરાવવામાં આવ્યો.
૫: ૫૮ વાગ્યે ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન
૬:૦૩ બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન
૬:૦૯ ભાઈ બલરામ રથમાં બિરાજમાન
૬: ૫૯ પહિંદ વિધિ અને મુખ્ય પ્રધાન દ્વારા રથ ખેંચી રથપ્રસ્થાન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter