સુરતઃ પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સામે ચાલતા રાજદ્રોહના કેસમાં ૧૪મીએ જિલ્લા સરકારી વકીલે આરોપી હાર્દિક પટેલ કોર્ટને પબ્લિસિટીનું માધ્યમ સમજતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે, આરોપી હાર્દિક પટેલના પક્ષેથી કેસ ડિસ્ચાર્જ અરજી અપાઈ છે અને તે અંગે સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દો હજી અદાલતને વિચારાધીન છે તેમ છતાં આરોપી તરફથી આ અરજી અંગે વોટસએપના માધ્યમથી વિગતો મોકલી ખોટી રીતે પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ થતો હોય એવું લાગે છે. કોર્ટની ગરિમા જાળવવી જરૂરી છે. ડિસ્ટ્રિક્ટ જજ ગીતા ગોપીએ પણ હાર્દિકના વકીલને સ્પષ્ટ જણાવ્યું હતું કે, હાર્દિકને હાઈ કોર્ટે આપેલી જામીન શરતોમાં સ્વતંત્રતાનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવાની શરત પણ છે. આ અંગે તમે અને હાર્દિક બંને કાળજી રાખો.


