વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરૂ કરાયેલી હિન્દુ હેલ્પલાઇનને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ અંગે આયોજિત કાર્યક્રમમાં ગત સપ્તાહે હિન્દુ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. જેમાં બેન્ડમિન્ટન ગુરુ ગોપીચંદજી, કૃષિ વૈજ્ઞાનિક ડો. પાઠક અને ડો. રામને પરિષદ દ્વારા હિન્દુ રત્ન એવોર્ડ એનાયત થયા હતા. લીંબડીના ધનજીભાઇ ચાવડા પરિવારને કૃષિ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં ડો. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે, હિન્દુ હેલ્પલાઇનને ત્રણ વર્ષ પૂર્ણ થયા અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોને સહાય પહોંચાડી છે. આપદા સમયે હિન્દુને એકથી બે કલાક સહાય પહોંચી ગઇ છે. આ હેલ્પલાઇનનું કોલ સેન્ટર પૂનામાં છે.
રૂ. ૨૭ લાખના સોના સાથે પ્રવાસી પકડાયોઃ અમદાવાદના એરપોર્ટ પર એરઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હીથી અમદાવાદ આવેલા મુંબઇના પ્રવાસી મુકેશ સતદેવ ચેલાણીને રૂ. ૨૭ લાખના દાણચોરીના સોના સાથે કસ્ટમે ઝડપી લીધો હતો. મુકેશ ચેલાણી રેક્ટમમાં ૬ ગોલ્ડ બાર છુપાવીને લાવ્યો હતો જેનું વજન ૧,૦૦૦ ગ્રામ થાય છે. જ્યારે તેની બજાર કિંમત રૂ. ૨૬. ૯૦ લાખ થાય છે. દિલ્હીથી અમદાવાદ તે ડોમેસ્ટિક પેસેન્જર તરીકે આવ્યો હતો. એરઇન્ડિયાની ફ્લાઇટ નં. ૦૧૯માં બેઠેલા ઇન્ટરનેશનલ પેસેન્જર પાસેથી તેણે આ સોનાની ડિલીવરી લીધી હતી. કસ્ટમને શંકા જાય નહીં તે માટે ગોલ્ડ લઇને આવનાર પેસેન્જર બહાર નિકળી ગયો હતો જ્યારે મુકેશ ડોમેસ્ટિક પેસેન્જર હેાવાથી કસ્ટમને શંકા જશે નહિં એમ વિચારીને અમદાવાદ આવતા ઝડપાયો હતો.
બુટલેગરના ‘મહેમાન’ બનેલા ૨૦ પોલીસ કર્મી સસ્પેન્ડઃ અમદાવાદના બુટલેગર કિશોર રાઠોડ ઉર્ફે લંગડાના પુત્રના લગ્નમાં હાજર રહેલા પોલીસ તંત્રના ‘વહીવટદારો’ સામે તપાસ બાદ ૨૦ની જિલ્લા બદલી કરવાની સાથોસાથ સસ્પેન્ડ કરાયા છે. ‘બેગાની શાદી મેં દિવાના’ બનેલા પોલીસકર્મીઓ સામે ડીજીપીએ આકરાં પગલાં ભરતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચ્યો છે. સાથોસાથ, એવી પણ ચર્ચા છે કે પોલીસ તંત્રમાં સક્રિય વહીવટદારોમાં દરબાર લોબીનો સફાયો કરીને વહીવટદારોની ‘નવી લોબી’ ઊભી કરવામાં રહી છે. કિશોર લંગડાના પુત્રના લગ્નપ્રસંગે હાજર રહેલા વહીવટદારો અને પોલીસકર્મીઓની સંખ્યા ૩૯ જેટલી હોવાની ચર્ચા લાંબા સમયથી તેજ બની છે.