ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકશાહીના ચૂંટણીજંગના પ્રચારના પડઘમ પછી માતા હીરાબાના આશીર્વાદ લેવાનું પસંદ કરીને મતદાન કરવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોદી રાજભવનથી સીધા પોતાના માતાને મળવા અને તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ૨૪મી એપ્રિલે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના ચરણસ્પર્શ કર્યાં ત્યારે માતા હીરાબાએ મોદીને વહાલથી વધાવીને તેમને આશિષ રૂપે માતાજીની ચૂંદડી, નારિયેળ અને રૂ. ૫૦૦ આપ્યાં હતાં. માતાની મુલાકાત લીધા પછી મોદી રાણીપ ખાતે પોતાનો મત આપવા પહોંચ્યા હતા.
દરેક ચૂંટણી પહેલા મોદી તેમના માતાને મળવા જાય છે અને તેમના આશીર્વાદ લે છે. માતા હીરાબા અને મોદીના પરિવારે તેમને વિજય તિલક કર્યું હતું. ત્યારબાદ મોદી તેમનો વોટ આપવા માટે ગયા હતા. માતાએ મોદીને કેટલીક ભેટ પણ આપી હતી. માતાને મળીને બહાર આવેલા મોદીએ લોકો સાથે વાત કરી હતી અને તસવીરો પણ પડાવી હતી.
બીજી તરફ વડા પ્રધાન દીકરાને આશિષ આપ્યા પછી હીરાબાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હીરાબાએ પોતાના મતાધિકારનો ઉપયોગ રાયસણથી કર્યો હતો. રાયસણ ગાંધીનગરને અડીને આવેલું છે. હીરાબાની ઉંમર ૯૮ વર્ષ છે છતાં તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


