અમદાવાદઃ હોળીના પર્વે ધજા ફરકાવીને તેના પવનની દિશા જોવાનો અને હોળીની જ્વાળા જોવાનો રિવાજ પરાપૂર્વથી ચાલતો આવ્યો છે. તેના પરથી જ્યોતિષીઓ આગામી ચોમાસાની ઋતુનો વરતાવો એટલે કે ભવિષ્યવાણી કરતા હોય છે. આ વખતે હોળી પરથી અનુમાન કરતા જ્યોતિષાચાર્યોએ જણાવ્યું છે કે, હોળીની જ્વાળા પૂર્વ તરફની હોવાથી ક્યાંક અતિવૃષ્ટિ અને ક્યાંક ઓછો વરસાદ થવાની સંભાવના છે. તેના માટે ભડલી વાક્ય ‘વાયુ જો પુરવનો વાય, કોરો ને કોઇ ભીંજો થાય’ લખાયેલું છે. આ સાથે આગામી સમયમાં અસહ્ય ગરમી અને શિયાળામાં પુષ્કળ ઠંડી પડી શકે છે. જ્વાળા વાયવ્ય દિશા તરફ જતી હોવાથી આંધી-તોફાનના સંયોગ છે. હોળીનો પવન વાયવ્ય તથા અગ્નિ દિશા તરફ જવાથી પાણીની અછતનો સંકેત પણ મળી રહ્યો છે.


