અમદાવાદઃ ભારતનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં ૨૦ ઓગસ્ટે પહોંચી જશે. ત્યારપછી ૭ સપ્ટેમ્બરે તે ચંદ્રની સપાટી પર ઉતરશે. ઇસરોના ચેરમેન કે. સિવાને અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી. આગામી બે દિવસમાં ચંદ્રયાન ધરતીની કક્ષા છોડી દેશે. સિવાન ડૉ. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી ઉજવણીના સમારંભમાં ભાગ લેવા અહીં આવ્યા હતા. વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. સિવાને કહ્યું કે ૨૨ જુલાઈએ લોન્ચ થયા પછીથી ચંદ્રયાન-૨ ધરતીની આસપાસ ચક્કર મારી રહ્યું છે. બુધવારે સવારે અમે એક ખાસ મુવમેન્ટ કરવાના છીએ. ૧૪ ઓગસ્ટના રોજ સવારે લગભગ ૩.૩૦ વાગે અમે ટ્રાન્સલુનાર ઇન્જેક્શન નામની મુવમેન્ટ કરીશું આથી ચંદ્રયાન-૨ ધરતીની કક્ષા છોડીને ચંદ્રની કક્ષામાં પહોંચશે. ૨૦ ઓગસ્ટ સુધીમાં તેને ચંદ્રની નજીક પહોંચાડી દેવાશે. અંતે ૭ સપ્ટેમ્બરે ચંદ્રયાનને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરાશે. હાલમાં ચંદ્રયાન-૨ સારો દેખાવ કરી રહ્યું છે.