અમદાવાદઃ રાજ્યમાં રૂ. ૧૩૦૦ કરોડના ૪ હજાર કિલો સોનાની દાણચોરીના કેસમાં ફાઇનાન્સર પ્રમોદગીરી ગોસ્વામી ઉર્ફે રાજુ ગોસ્વામીની ૨૫મીએ રાજકોટથી ધરપકડ કરી છે. તેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપાયો છે. છેલ્લા ઘણાં સમયથી ભાગતો ફરતો રાજુ ગોસ્વામી ૨૫મીએ રાજકોટમાં દેખાયો હતો. રાજુ ગોસ્વામીની પ્રાથમિક પૂછપરછ અને સ્ટેટમેન્ટ લેવાયા પછી વધુ તપાસ અને સ્ટેટમેન્ટ લેવા માટે એર ઇન્ટેલીજન્સ યુનિટ (એઆઇયુ) અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. બહુમાળી ભવન પાસે આવેલા ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુ ગોસ્વામી અને તેના સાગરીતોએ વર્ષ ૨૦૧૩થી અત્યાર સુધીમાં ૪ હજાર કિલો સોનું દાણચોરીથી ભારતમાં લાવ્યા હોવાની કબુલાત કરી હતી. દુબઇથી દાણચોરી સોનું લાવવાના કૌભાંડમાં રાજુ ગોસ્વામીની સાથે જિજ્ઞેશ સાવલીયા, કેરિયર તરીકે લોકેશ શર્મા, અખંડ જ્યોત જવેલર્સના ઋતજ્ઞા ત્રિવેદી તેની પત્ની હીના ત્રિવેદી, તેનો ભાઇ ધર્મજ્ઞ ત્રિવેદી, મુકેશકુમાર ત્રિવેદી, વીરેન્દ્રસિંગ યાદવ, ભાર્ગવ કનુભાઇ તંતી, જિતેન્દ્ર, બ્રિજેશ રાવલ, મેહુલ ભીમાણી, દિવ્ય બુતીયાની સંડોવણી બહાર આવી છે.