૨૦૨૨માં ‘ગગનયાન’થી ૩ અવકાશયાત્રીને અંતરિક્ષમાં મોકલશે

Wednesday 02nd October 2019 07:29 EDT
 

અમદાવાદઃ ચંદ્રયાન-૨ ઓર્બિટર ખૂબ જ સારી રીતે કામગીરી અદા કરી રહ્યું છે અને તેની પાસેથી જે પ્રયોગની અપેક્ષા છે એ તેણે શરૂ કરી દીધા છે. ચંદ્રાયાન-૨ના મિશનમાં સહેજ માટે ક્યાં ખામી રહી તેના અંગે રાષ્ટ્રીય કક્ષાની સમિતિ વિશ્લેષણ કરે છે. હવે અમારું આગામી લક્ષ્યાંક ગગનયાન છે. જેના દ્વારા ત્રણ અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલી સલામત રીતે પૃથ્વીમાં પરત પણ લવાશે તેમ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વડા કે. સિવને અમદાવાદમાં જણાવ્યું છે. 'સિસ્ટમ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા'ની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે કે. સિવન ૨૪મીએ અમદાવાદના અતિથિ બન્યા હતા. આ નિમિત્તે કે. સિવને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૨ ઓર્બિટર ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહ્યું છે. તમામ પેલોડ ઓપરેશન્સનો પણ પ્રારંભ થઇ ગયો છે. અમને લેન્ડર તરફથી કોઇ જ સિગ્નલ મળ્યું નથી. લેન્ડરમાં ક્યાં કચાશ રહી ગઇ તે જાણવા માટે રાષ્ટ્રીય કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ તેનો રિપોર્ટ આપે પછી જ ભવિષ્યમાં શું કરવું તેના અંગે નિર્ણય લેવામાં આવશે. કોઇ પણ જાહેરાત કરતા અગાઉ તમામ તમામ વિધિવત્ પ્રક્રિયાઓ અને જરૂરી મંજૂરી લેવી પડશે. ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો ૭ સપ્ટેમ્બરથી કોઇ સંપર્ક થઇ શક્યો નથી. ચંદ્રાયાન-૨ સાથે પુન:સંપર્ક કરવાનો ૧૪ દિવસનો સમયગાળો ૨૧ સપ્ટેમ્બરના પૂર્ણ થયો છે. ઈસરો આગામી સમયમાં અનેક મિશન પૂરા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે તેમ જણાવતા કે. સિવને ઉમેર્યું હતું કે, અમારા માટે અનેક પૈકીનું એક સૌથી મહત્વનું મિશન એ ગગનયાન છે. મિશન ગગનયાન માટે ઈસરો ખૂબ જ પરિશ્રમ કરે છે.
વડા પ્રધાનની જાહેરાત અનુસાર ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધી આ ગગનયાન મિશનને પૂરું કરવામાં આવશે. મિશન ગગનયાન દ્વારા ત્રણ અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવામાં આવશે અને ત્યાંથી તેમને સલામત રીતે પરત લવાશે. ચંદ્રયાન-૨ બાદ ઈસરોનો સૌથી મોટો પ્રોજેક્ટ 'ગગનયાન' છે. જેને વર્ષ ૨૦૨૨માં સ્વતંત્રતાને ૭૫ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે લોન્ચ કરવામાં આવશે. કે. સિવાને વધુમાં જણાવ્યું હતું કે, દેશના ખગોળ વિજ્ઞાાન માટે સારી વાત એ છે કે હવે સરકારે ઈસરોના બજેટમાં વધારો કર્યો છે. આ ક્ષેત્રમાં વધુને વધુ યુવાનો જોડાય તેવો મારો અનુરોધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter