૨૯ ભ્રષ્ટ કર્મચારીઓ પાસેથી રૂ. ૪૦.૪૭ કરોડની બેનામી મિલકતો મળી

Saturday 05th December 2020 05:54 EST
 
 

અમદાવાદઃ એક તરફ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવાની ગુલબાંગો પોકારાઇ રહી છે, તો બીજી તરફ ભ્રષ્ટાચાર નાથવામાં સરકાર નિષ્ફળ નીવડી રહી છે. ભ્રષ્ટાચાર વકર્યો હોવાથી સરકારી અધિકારીઓ કરોડોના આસામી બન્યા છે. રાજ્યની એન્ટીકરપ્શન બ્યૂરો (એસીબી)એ સિંચાઇ યોજનાના અમરેલી જિલ્લાના રાજુલાના અધિક મદદનીશ ઇજનેર કાળુભાઇ રામ તથા જમીન વિકાસ નિગમના આઠ અધિકારીઓ સહિત ૨૯ સરકારી બાબુઓ પાસેથી ચાલુ વર્ષમાં જ રૂ. ૪૦.૪૭ કરોડની બેનામી જંગમ મિલકતો પકડી પાડી છે. આ આંકડા જ દર્શાવે છે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર કેટલી હદે ફાલ્યો ફૂલ્યો છે.
એસીબીએ અમરેલી જિલ્લાના રાજુલાના ધાતરડી ખાતે સિંચાઇ યોજનામાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા કાળુભાઇ શાર્દુળભાઇ રામની અપ્રાણસર મિલકતોની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાળુભાઇએ તેમના પરિવારના સભ્યોના મિલકત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેન્ક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી નાણાંકીય વ્યવહારોની વિગતો મેળવી હતી. જેમાં ખાસ કરીને ફરજ દરમિયાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂ. ૭૧,૪૪,૫૧૬ની સામે તેઓએ રૂ. ૧,૩૮,૭૮,૨૯૧નું રોકાણ કર્યું હતું. આમ તેણે કાયદેસરની આવકની સરખામણીએ ૯૭.૭૧ ટકા એટલે કે રૂ. ૬૭,૩૩,૭૭૫ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter