અમદાવાદ: કોરોનાના કાળમાં એક નવો જ ટ્રેન્ડ ગુજરાતમાં ચલણમાં છે. આ દરમ્યાન રજિસ્ટર્ડ વિલ લખાવનારાઓ તો વધ્યાં જ છે પણ સાથોસાથ ૩૫થી ૫૦ વર્ષના લોકો પણ વસિયત લખાવી રહ્યાં છે. રજીસ્ટ્રી વિભાગના આંકડાઓ મુજબ અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન સુધી કુલ ૧૧૨૮૬ લોકોએ વસિયતનામુ રજિસ્ટર્ડ કરાવ્યું છે. એમાંથી ૬૦ ટકા એટલે કે ૭૬૭૬ વસિયત એપ્રિલથી જૂન દરમ્યાન થઈ છે જ્યારે કોરોનાનો ભય સૌથી વધારે હતો. અન્ય ૩૬૧૦ વિલ જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન રજિસ્ટર્ડ થયા હતા. એટલે કે ગત ત્રણ મહિનામાં વસિયત લખાવનારાઓની સંખ્યામાં ૧૧૨.૬૩ ટકાનો વધારો થયો છે.
જ્યારે આ દરમ્યાન મોટાભાગના રજીસ્ટ્રી કાર્યાલયો લોકડાઉનના કારણે બંધ રહ્યાં હતા. શહેરમાં ૧૦૦૬ વસિયત તો જૂનના અંતિમ ૧૫ દિવસોમાં લખાવવામાં આવી છે. રાજકોટમાં ૫૦૦થી વધારે વિલ લખાવવામાં આવ્યા છે, પણ અહીં રજિસ્ટર્ડ કરાવવાનું ચલણ ઓછું છે.
વકીલોના જણાવ્યા પ્રમાણે આ દરમ્યાન અન-રજિસ્ટર્ડ વસિયતનામાઓની સંખ્યામાં પણ અંદાજે ૮૦ ટકાનો વધારો થયો છે. જો કે તે અલગ-અલગ વકીલો પાસે લખાવવામાં આવે છે તેથી તેની સંખ્યાનો સચોટ અંદાજ મેળવી શકાતો નથી. એવું માનવામાં આવે છે કે આરોગ્ય અને ભવિષ્યને લઈને ચિંતાઓના કારણે આ
ટ્રેન્ડ વધ્યો છે. એક સિનિયર વકીલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધી વસિયતનામું રજિસ્ટર્ડ કરાવવાનું ચલણ ઓછું રહ્યું છે.