૩ વર્ષમાં ૩૦ ગેંગરેપઃ નિર્ભયા ફંડના માત્ર રૂ. ૧.૧૮ કરોડ વાપર્યા

Wednesday 04th December 2019 05:21 EST
 

અમદાવાદઃ રાજ્યમાં ઉપરાછાપરી રેપ-ગેંગરેપની ઘટનાઓ બને છે ત્યારે સરકારના સલામતીના બણગાં ફૂંકતા દાવા સામે પ્રશ્નાર્થ થયા છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭માં સામૂહિક બળાત્કારની કુલ ૩૦ ઘટનાઓ બની છે જ્યારે બળાત્કારની ૧૯૬૨ ઘટના બની છે. ૨૯મી નવેમ્બરે કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી છે તે અનુસાર નિર્ભયા ફંડ પેટે ગુજરાતને ફાળવેલા રૂ. ૭૦ કરોડના ફંડમાંથી ગુજરાત સરકારે સલામતી માટે માંડ રૂ. ૧.૧૮ કરોડની જ રકમ વાપરી છે. સુરતમાં સાવકા પિતાએ ૧૧ વર્ષીય દીકરી ઉપર રેપ, વડોદરામાં ૧૪ વર્ષીય સગીરા ઉપર ગેંગરેપ, રાજકોટમાં ૮ વર્ષની બાળકી ઉપર રેપની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. એ પછી દુષ્કર્મ આરોપીઓનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે તેવું ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું છે, પણ આ પહેલાં સરકારે શું કર્યું તે સવાલ ઊભો થાય છે.
સુરત, રાજકોટ અને વડોદરામાં દુષ્કર્મની ઘટનાઓ બનતાં રાજ્ય ગૃહવિભાગ એક્શન મોડમાં આવ્યું છે. રાજ્ય ગૃહ પ્રધાને ખાતરીપૂર્વક જણાવ્યું કે દુષ્કર્મની ઘટનામાં કસૂરવારોને કડક સજા થાય તે દિશામાં કાર્યવાહી થશે. આ ઉપરાંત ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ચાલશે. પોલીસની સક્રિયાતને પગલે રાજકોટ અને સુરત દુષ્કર્મના કિસ્સામાં આરોપીઓ પકડાઈ ચૂક્યા છે જ્યારે વડોદરામાં ય શકમંદોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter