અમદાવાદઃ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પાંચ વર્ષમાં રૂ. ૧૩૦૦ કરોડના ૪ હજાર કિલો સોનાની દાણચોરીના કેસમાં મૂળ અમરેલીના આ બે ફાયનાન્સર હિતેન્દ્ર જયંતિભાઈ રોકડ અને મેહુલ રસિકભાઈ ભીમાણીએ કસ્ટમ્સ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે અત્યાર સુધી ૩૭૦ કિલો સોના માટે રૂ. ૧૦૫ કરોડનું ફાઈનાન્સ કર્યું છે. આટલી મોટી રકમ હવાલાથી મંગાવવામાં આવતી હોવાની દિશામાં તપાસ કરાઈ રહી છે.
તાજેતરમાં આ કેસમાં એર ઈન્ટેલિજન્ટ યુનિટ કસ્ટમ્સના એક અધિકારીને સસ્પેન્ડ કરાયો છે. અમદાવાદમાં કર્ણાવતી ક્લબની સામે આવેલા અવની ટાવરમાં રહેતા હિતેન્દ્ર જયંતિભાઈ રોકડ અને મેહુલ રસિકભાઈ ભીમાણી આ બંને માસ્ટર માઈન્ડ ફાઈનાન્સર્સ માણેકચોકમાં આવેલી અખંડ જ્યોત જ્વેલર્સના માલિક ઋતુગા ત્રિવેદીને દાણચોરીનું સોનું લાવવા માટે ફાઈનાન્સ કરતા હતા.

