અમદાવાદઃ ૫૭મા ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી આ વર્ષે અમદાવાદ શહેર અને જિલ્લામાં થશે ૧૪થી ૨૯ એપ્રિલ દરમિયાન થશે અને આ સમયગાળામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં રૂ. ૧૬૦૦ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થશે. રિવરફ્રન્ટ ખાતે પ્રથમ વખત નૌકા સ્પર્ધા યોજાશે. નાઈટ મેરેથોન, એલઈડી કાઈટ ફ્લાઈંગ, પરેડ, લેસર શો અને આતશબાજીના કાર્યક્રમો યોજાશે.
આ અંગે આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી ૧૪ એપ્રિલથી શરૂ થશે. તા. ૧ મેના રોજ મુખ્ય કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે. અમદાવાદમાં રૂ. ૭૪૦ કરોડના ૫૨ કામોનું લોકાર્પણ અને રૂ. ૯૦૫ કરોડના ૬૨ કામોનું ખાતમુહૂર્ત કરાશે. કુલ રૂ. ૧૬૪૫ કરોડનાં ૧૧૪ વિકાસ કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. મુખ્ય પ્રધાનના હસ્તે ૩૦ એપ્રિલે બાવળામાં આરટીઓ કચેરી, એસ.ટી. ડેપોનું લોકાર્પણ, ન્યુ એફ.એચ.ડબલ્યુ સ્કૂલ, શાહીબાગમાં પોલીસ હેડક્વાર્ટર કચેરીનું ખાતમુહૂર્ત અને પોલીસ આવાસનું લોકાર્પણ થશે. આ ઉપરાંત કઠવાડામાં ઔડા નિર્મિત ૧૭૦૦ આવાસોનું લોકાર્પણ અને અસારવા, નિકોલમાં મુખ્ય પ્રધાન ગૃહયોજના અંતર્ગત ૧૨૦૦ આવાસોનું લોકાર્પણ કરાશે.


