‘ઈન્ટરવલ’ બાદ સિનેમાગૃહોમાં એન્ટ્રીની છૂટ

Tuesday 13th October 2020 17:14 EDT
 

અમદાવાદ: અનલોક - ૫.૦ અંતર્ગત હવે સાડા ૬ મહિના કરતાં પણ વધુ સમય બાદ ૧૫ ઓક્ટોબરથી ગુજરાતના સિનેમાગૃહો, થિયેટરનો ૧૫ ઓક્ટોબરથી પ્રારંભ કરી શકાશે તેવું રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠી ઓક્ટોબરે જાહેર કરાયું હતું. કોરોના મહામારીને પગલે ૨૫ માર્ચે લોકડાઉન જાહેર કરાયું ત્યારથી જ સિનેમાગૃહ, થિયેટર પણ બંધ હતા. અનલોક-૫.૦ માટેની કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે સિનેમાગૃહ-થિયેટરમાં તેની કુલ ક્ષમતાના ૫૦ ટકાને જ પ્રવેશ અપાશે. ૧૫ ઓક્ટોબરથી માત્ર ખેલાડીઓ માટે સ્વિમિંગ પૂલ ખોલવાની મંજૂરી અપાઈ છે. સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહમાં ૧૫ ઓક્ટોબર સુધી ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા યથાવત્ રહેશે. આ બાબતો અંગેની નવી માર્ગદર્શિકા ૧૫ ઓક્ટોબર બાદ જાહેર કરવામાં આવશે. તેવું પણ છઠ્ઠીએ રાજ્ય સરકાર દ્વારા જણાવાયું હતું. અમદાવાદ મલ્ટિપ્લેક્સ એસોસિએશનના વંદન શાહે જણાવ્યું કે, સાડા ૬ મહિનાના લાંબા અંતરાલ બાદ મોટાભાગના સંચાલકો સિનેમાગૃહ શરૂ કરવા આતુર છે. જોકે, આ સિનેમાગૃહો કઇ રીતે શરૂ કરવા? કઇ ફિલ્મો દર્શાવવી? તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.

સિનેમાગૃહો માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન

• સિનેમાગૃહ, થિયેટરના વેઇટિંગ એરિયા તેમજ ઓડિટોરિયમની બહાર ઓછામાં ઓછું ૬ ફિટનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે જ્યાં માસ્ક પહેરવું ફરજિયાત
• પરિસરમાં દાખલ થવાના તેમજ બહાર નીકળવાના સ્થાને ટચ ફ્રી સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાત
• દર્શકો માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી હિતાવહ
• પ્રત્યેક દર્શકો-કર્મચારીઓને દાખલ થતાં જ થર્મલ સ્ક્રીનિંગ કરાવવું પડશે જે વ્યક્તિમાં કોઇ લક્ષણ નહીં હોય તેને જ પ્રવેશ
• બે ફિલ્મ વચ્ચે પૂરતો સમય આપવામાં આવશે
• સિનેમાગૃહ-થિયેટરમાં એક બેઠક છોડીને એક બેઠકમાં બેસી શકશે
• અનલોક-૫.૦ની ગાઇડલાઇન પ્રમાણે ફિલ્મનું ઓનલાઇન બુકિંગ હિતાવહ
• ટિકિટ બુક કરાવતી વખતે કોન્ટેક્ટ ટ્રેસિંગના ભાગરૂપે દર્શકનો ફોન નંબર લેવાશે
• એર કન્ડિશનનું તાપમાન ૨૪થી ૩૦ ડિગ્રી વચ્ચે રાખવું ફરજિયાત

૧૫ ઓક્ટોબરથી શું ખુલ્લું મુકાશે

• સિનેમાગૃહ-થિયેટર- બેઠક ક્ષમતાના ૫૦ ટકા સાથે ખોલી શકાશે
• એન્ટરટેઈન્મેન્ટ પાર્ક - ધારાધોરણ અનુસાર શરૂ કરવા મંજૂરી
• સ્વિમિંગ પુલ - ખેલાડીઓની ટ્રેઈનિંગ માટે જ ખોલી શકાશે.
• બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ - નક્કી કરાયેલી ગાઈડલાઈન પ્રમાણે કરવા મંજૂરી
• લાયબ્રેરી - ૬૦ ટકા ક્ષમતા સાથે મંજૂરી
• એસટી-ખાનગી બસ સેવા - ૭૫ ટકા ક્ષમતા સાથે મંજૂરી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter