‘ભરતસિંહ સોલંકીના કહેવાથી જ અમે ભાજપમાં ગયા છીએ’

Wednesday 18th March 2020 04:22 EDT
 
 

અમદાવાદઃ ધારીના ધારાસભ્ય જે. વી. કાકડિયાએ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં જોડાયાં છે. આ દરમિયાન કાકડિયાના પત્નિ કોકિલાબેને એવો સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, ભરતસિંહ સોલંકીએ અમને ભાજપમાં જવાનું કહ્યું હતું. તેમના કહેવાથી જ અમે ભાજપમાં જોડાયાં છીએ.
રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ પાંચ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, કરોડો રૂપિયામાં આ પાંચેય ધારાસભ્યોનો સોદો થયો છે. આ તરફ, રાજીનામું આપનાર ધારાસભ્ય કાકડિયાના પત્નિ કોકિલાબેને એવો આક્ષેપ કર્યો હતો કે, આઠ દિવસ પહેલાં જ ભરતભાઇ સોલંકીનો મારા પર ફોન આવ્યો હતો કે, બહેન, રાજ્યસભાના ઉમેદવારો નક્કી થઇ રહ્યાં છે - શક્તિસિંહ ગોહિલ અને મધુસુદન મિસ્ત્રી. તો આપણે ભાજપમાં જવું જોઇએ કે નહીં? ત્યારે મેં ભાજપમાં કેમ જવું જોઇએ તે અંગે વાત કરી હતી. ભરત સોલંકીના કહેવાથી જ અમે ભાજપમાં જોડાયા છીએ.
તેમણે એમ પણ ઉમેર્યું કે, ત્રણ વર્ષ સુધી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કામ કર્યું છે ત્યારે મત વિસ્તારમાં દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે તો પુછો, એકેય સરપંચ પાસેથી કાણીપાઇ પણ લીધી નથી. એટલે પૈસાનો સવાલ નથી. અમે ભાજપ પાસેથી ય પૈસા લીધા નથી. જોકે, ભરત સોલંકી પર આક્ષેપો કરતાં કોંગ્રેસે કોકિલાબેન કાકડિયાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter