પાલનપુરઃ ભાજપનું વિજય સંકલ્પ સંમેલન સોમવારે પાલનપુરમાં યોજાયું હતું. કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભુપેન્દ્રસિંહે જાહેરમાં કાર્યકરોને કહ્યું કે, રામ મંદિરનું જ્યાં સુધી નિર્માણ નહીં થાય ત્યાં સુધી મેં મીઠાઈનો ત્યાગ કર્યો છે. વર્ષ ૧૯૯૦-૯૧માં જ્યારે લાલકૃષ્ણ અડવાણી દ્વારા રથયાત્રા નીકળી હતી ત્યારથી મંદિરના નિર્માણ માટે બાધા રાખી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં ભાજપની કેન્દ્રીય નેતાગીરી તેમજ અન્ય મોટા નેતાઓ પણ અડવાણીનું નામ લેવાનું ટાળે છે તેવામાં પાલનપુરની સભામાં ચુડાસમાએ અડવાણીને યાદ કરી રામ મંદિર બનાવવા પર ભાર મૂક્યો હતો.

