‘લોકશાહી બચાવો’નો નારો રાજભવન પહોંચ્યો નહીંઃ કોંગી નેતાઓની અટકાયત

Tuesday 28th July 2020 07:03 EDT
 

ગાંધીનગરઃ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર ઉપર ઉભા થયેલા રાજકીય સંકટના પગલે કોંગ્રેસે તમામ રાજયોમાં રાજભવન સમક્ષ લોકશાહી બચાવવાના નારા સાથે રજૂઆત કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે ગાંધીનગરમાં પણ કોંગી નેતાઓ રાજયપાલને રજૂઆત કરવા એકઠા થયા હતા, પરંતુ સર્કિટ હાઉસથી આ નેતાઓ રાજભવન પહોંચે તે પહેલાં જ પોલીસ સાથે ઝપાઝપી બાદ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.
કોંગ્રેસનો લોકશાહી બચાવવાનો નારો વીવીઆઈપી જ-માર્ગ ઉપર જ ગુંજયો હતો. જે રાજભવન સુધી પહોંચી શકયો જ નહોતો. ગુજરાતના પાડોશી રાજય રાજસ્થાનમાં છેલ્લા થોડા દિવસોથી રાજકીય ધમાસાણ ચાલી રહયું છે અને કોંગ્રેસ સરકાર વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરી રહી હોવા છતાં રાજયપાલ દ્વારા તેને મંજૂરી આપવામાં આવતી નથી ત્યારે આવી સ્થિતિમાં કોંગ્રેસ
દ્વારા સમગ્ર દેશમાં રાજભવનમાં જઈ લોકશાહી બચાવવાના નારા સાથે રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. જેના પગલે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગાંધીનગરમાં રાજભવન પહોંચીને લોકશાહી બચાવવાનો નારો ગજવવાનું નક્કી થયું હતું. ૨૭મી જુલાઈએ સવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગી આગેવાનો સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને ત્યાંથી લોકશાહી બચાવોના નારા સાથે રાજભવન તરફ કૂચ કરી દીધી હતી. વિવિધ પ્લેકાર્ડ સાથે કોંગી કાર્યકરો આગળ વધ્યા હતા.
લોકશાહી બચાવો, બંધારણ બચાવો, લોકતાંત્રિક સરકારોની હત્યા બંધ કરો એવા નારા સાથે સર્કિટ હાઉસથી બહાર નીકળ્યા કે તુરંત જ ગાંધીનગર પોલીસ દ્વારા આ આગેવાનોની અટકાયત કરાઈ હતી. પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. પોલીસે કોંગ્રેસના આગેવાનોને ડીટેઈન કરી સે-૨૭ હેડકવાર્ટસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહયું હતું કે દેશના અલગ અલગ રાજયોમાં લોકશાહીનું હનન કરવામાં આવી રહયું છે. મણિપુર, ગોવા, મધ્ય પ્રદેશ બાદ હવે રાજસ્થાનમાં પણ કેન્દ્ર સરકાર લોકશાહી હનનના પ્રયાસો કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter