અમદાવાદ: ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના આદેશ બાદ આંતરરાષ્ટ્રીય વિમાનોનું સંચાલન ૩૧ ઓક્ટોબર સુધી રદ કરાયું હોવાનું છઠ્ઠી ઓક્ટોબરે જાહેર કરાયું હતું. જોકે ‘વંદે ભારત મિશન’ હેઠળ પસંદગીના રૂટ પર સંચાલિત થતી ફ્લાઈટ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
કોરોના મહામારી શરૂ થયા બાદ મે મહિનાથી કેન્દ્ર સરકારે ‘વંદે ભારત મિશન’ હેઠળ અને જુલાઈથી પસંદગીના દેશો સાથે એર બબલ સમજૂતી મુજબ પસંદગીના રૂટ પર ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન ચાલે છે. સરકાર દ્વારા અમેરિકા, બ્રિટન, સંયુક્ત અરબ અમિરાત, કેનિયા, ભુતાન અને ફ્રાન્સ સાથે એર બબલ સમજૂતી કરાઈ છે. બીજી બાજુ ડીજીસીએએ બહાર પાડેલા આદેશમાં જણાવ્યું છે કે, ૩૧મી ઓક્ટોબર સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત્ રહેશે.
ડોમેસ્ટિક ફ્લાઈટમાં સરેરાશ માત્ર ૭૩ મુસાફરો
અનલોક અંતર્ગત ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થયાને પાંચ મહિના કરતાં વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં હજુ પણ મોટાભાગના લોકો ફ્લાઇટથી મુસાફરી ટાળી રહ્યા હોય તેમ જણાય છે. સપ્ટેમ્બર માસમાં અમદાવાદ અવર-જવર કરતી પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ ૭૩ મુસાફરોએ મુસાફરી કરી હતી.