ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન વિલેજ- વન પ્રોડક્ટ’ વિચાર સાથેના એક અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીએ ટ્વિટર પર આ આઈડિયા પોતાનો હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ચાર વર્ષ જૂની ટ્વિટ સાથે જ વન વિલેજ- વન પ્રોડક્ટ તો હકીકતે ગુજરાત મોડલ હોવાનો જવાબ આપતાં રાહુલ ગાંધીને એક રીતે પોતાની સ્માર્ટનેસ પોતાની પાસે રાખવા ટોણો માર્યો હતો.
દેશમાં વન ડિસ્ટ્રિક્ટ - વન પ્રોડક્ટ સંદર્ભે સર્વે ચાલી રહ્યો છે તેવા અખબારી અહેવાલ સાથે રાહુલનું કહેવું છે કે આ એક સારો આઈડિયા છે. મે થોડાક સમય પહેલાં રજૂ કર્યો હતો. આ આઈડિયાને અમલમાં મૂકવા માટે માઈન્ડસેટને સંપૂર્ણપણે બદલવાની જરૂર છે. રાહુલના આ ટ્વિટનો જવાબ આપતા મુખ્ય પ્રધાન રૂપાણીએ તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનું ટ્વિટ પોસ્ટ કર્યું છે. અને લખ્યું છે કે, રાહુલજી, ગુજરાતે રજૂ કરેલા આઈડિયાને કોપી કરીને તેને તમારા આઈડિયા તરીકે રજૂ કરો છો તે તમારી સ્માર્ટનેસ નથી. મને નથી લાગતું કે તમારી પાસે આથી વધુ વિગતો હશે. તમારા સ્ક્રિપ્ટ-રાઈટર્સ વધારે સારી રીતે જાણતા હશે. તમારા માટે વન ડિફિટ વન રિઈન્વેન્શન પોલિસી કેવી રહેશે? ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૬માં આનંદીબહેને ભુલાતી જતી કળાને જાળવી રાખવા વન વિલેજ - વન પ્રોડક્ટનો કોન્સેપ્ટ શરૂ કરવાનું જાહેર કર્યું હતું એ ટ્વિટને ટાંકીને રૂપાણીએ રાહુલને જવાબ આપ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ કૂદી પડયા હતા. તેમણે તો ૨૯ ઓગસ્ટ ૨૦૧૭થી પોતાના રાજ્યમાં આ પ્રોજેક્ટનો અમલ શરૂ કર્યાનો દાવો કર્યો હતો. આમ, ટ્વિટર ઉપર પહેલે મે-બાદમાં આપ જેવી સ્થિતિ શરૂ થઈ હતી.