• વલસાડ સુગરની મુલાકાતે ગુયાનાના રાષ્ટ્રપતિઃ લેટિન અમેરિકાના ગુયાના દેશનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર વલસાડની સૌથી મોટી સહકારી સંસ્થા વલસાડ સુગર ફેક્ટરીના સહકારી મોડેલનો અભ્યાસ કરવા આવ્યા હતા. આ ફેક્ટરીના મોડેલ આધારિત પોતાના દેશમાં વ્યવસ્થા સ્થાપવાનું તેમણે મંતવ્ય આપ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને સહકારી ક્ષેત્રને વિશ્વમાં શ્રેષ્ઠ હોવાનું ગણાવીને ગુયાના સાથે દ્વીપક્ષી સહકાર કેળવવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે આદિવાસીઓ સાથે નૃત્ય પણ કર્યું હતું. ફેક્ટરી અંગે ઝીણવટથી જાણકારી મેળવી, કેટલી માત્રામાં રસાયણ ઉપયોગ અને ખાંડ બનાવવાની પદ્ધતિ વિષે માહિતી લઇ સુગર ફેકટરીના તમામ વિભાગની મુલાકાત કરીને કામગીરીના વખાણ કર્યા હતા. વલસાડ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ચેરમેન અરવિંદ પટેલે જણાવ્યું હતું. ગુયાના અને ભારત વચ્ચે સુગર ફેકટરીની ટેક્નલોજી અને ટેકનિકલ સ્ટાફ માટે સમજૂતી કરાર થશે.
• ભૂતાનના વડા પ્રધાન વડનગરની મુલાકાતેઃ ભૂતાન દેશના વડા પ્રધાન શેરિંગ તોબગેએ પરિવાર અને ર૦ લોકોના પ્રતિનિધિ મંડળ સાથે ઐતિહાસિક નગરી તેમ જ નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી હતી. તેમણે કીર્તિતોરણ, બૌદ્ધમઠની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, શિલ્પ-સ્થાપત્યનું આ અદ્ભુત બેનમુન ઉદાહણ છે. ત્યારબાદ બૌધ્ધમઠના પુરાતત્વ અવશેષો, તે સમયના ચલણી સિક્કા, શિલ્પ-સ્થાપત્ય, રહેણી-કરણી વગેરેની વિવિધ રસપૂર્વક માહિતી મેળવી હતી. જ્યારે વધુમાં વડનગર તાલુકામાં આવેલી મશરૂમ ફૂડ કંપની હિમાલયાની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં કુટિર ઉદ્યોગના પ્રદર્શન-હાટની મુલાકાત પણ લીધી હતી.
• કચ્છના રણમાં મોરારીબાપુની કથાનો પ્રારંભઃ કચ્છના અફાટ રણ વચ્ચે કાઢવાંઢમાં પૂ. મોરારિબાપુની રામકથાનો ગત સપ્તાહે પ્રારંભ થયો છે. કથાનો વિષય માનસ મંગલ ભવન હોવાનું સ્પષ્ટ કરીને પૂ. બાપુએ જાણે રણમાં મંગલમય વાતાવરણ ખડું કર્યું હતું. બાપુએ રામચરિત માનસનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે તેમાં જેટલા ડૂબીએ એટલા તરીએ છીએ. વાયબલ ફાઉન્ડેશન આયોજિત શ્રીરામ કથાનો દોર સાધીને સવારના પ્રથમ સત્રનો પ્રારંભ થયો હતો. પૂ. બાપુએ તેમની માનસરોવરની કથા યાદ કરીને કહ્યું કે, એ માનસરોવર પવિત્ર છે, આ તુલસી માનસ સરોવર જંગમ છે એમાં પવિત્ર પાણી છે આમાં વાણી છે. તેમાં હંસો છે, આમાં શંકર-કાકભૂશંડી પરમ હંસો છે, એમાં ડૂબી જવાય જ્યારે માનસ સરોવરમાં તો જેટલા ડૂબીએ એટલા તરાય.
• પાલિતાણામાં આદિનાથની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું પ્રતિષ્ઠાનઃ શાસન પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજસાહેબની પ્રેરણાથી પાલિતાણાના શત્રુંજય મહાતીર્થની ગોદમાં જંબુદ્વીપ સંકુલમાં દાદા આદિનાથની વિરાટકાય ૧૦૮ ફૂટની પ્રતિમાનું ભવ્ય નિર્માણકાર્ય ચાલી રહ્યું છે અને ૧૮ જાન્યુઆરીએ તેની પ્રાણપ્રતિષ્ઠા થશે. આ મહોત્સવમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રાવકો ઊમટે એવી શક્યતા છે. દાદા આદિનાથની ભવ્ય મૂર્તિની સાથે જ તેમના ૧૦૦ પુત્રો અને બે પુત્રીઓની પણ મૂર્તિ કંડારવામાં આવી છે.
• કાગવડ ખાતે ૨૧ જાન્યુઆરીએ સમૂહ લગ્નોત્સવઃ રાજરોટ જિલ્લાના ખોડલધામ-કાગવડ ખાતે ૨૧ જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય સમૂહલગ્નમાં એકસાથે ૫૦૩ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. ખોડલધામ યુવા સમિતિ, સુરતના પ્રમુખ પંકજ સિદ્ધપરાએ જણાવ્યું હતું કે, સમૂહલગ્ન અંતર્ગત સુરતમાંથી દિલીપ સોજીત્રા (લખપતિ)એ ૫૧, જિજ્ઞેશ પાનસેરિયાએ ૨૧, સંજય મોવલિયાએ ૨૧, બચુ આરથિયાએ ૧૧ દીકરીઓનું કન્યાદાન કરવાની જાહેરાત કરી છે. જ્યારે ભાવનગર, રાજકોટમાંથી પણ વિવિધ જાહેરાતો થઇ છે. જેમાં રમેશ મેંદપરાએ ૬૭, વિઠ્ઠલ રાદડિયાએ ૫૧, હર્ષદ મલાણીએ ૫૧, દિનેશ કુંભાણીએ ૫૧ દીકરીઓનું કન્યાદાન કરવાની જાહેરાત કરી છે. આમ ખોડલધામમાં ૫૦૦ યુગલોનો સમૂહલગ્ન ઐતિહાસિક બની રહેશે. સમાજની સાથે રાજ્ય, દેશભરમાં આ કાર્યક્રમની નોંધ લેવાશે.
• પૂર્વ કુલપતિ એન.વી. વસાણીનું અવસાનઃ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એન. વી. વસાણી (૭૫)નું ગત સપ્તાહે અમદાવાદમાં નિધન થયું છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી તેઓ કોમામાં હતા. તેઓ નિરમા યુનિવર્સિટીના ફાઉન્ડર વાઈસ ચાન્સેલર પણ હતા.
• ભૂતપૂર્વ ક્રિકેટર ગુણવંત દેસાઈનું નિધનઃ ચારદાયકા અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલીન કેપ્ટન મન્સુરઅલી ખાન પટૌડીના નેતૃત્વમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમના સભ્ય અને પૂર્વ ઝડપી બોલર ગુણવંત દેસાઈ (૭૪)નું લાંબી બીમારી બાદ વલસાડના પારનેરાપારડીસ્થિત તેના નિવાસસ્થાને નિધન થયું છે. ગુણવંત દેસાઈ વર્ષ ૧૯૬૮થી ૧૯૭૫ દરમિયાન રેલવે તરફથી ૧૮ રણજી ટ્રોફી મેચો રમ્યા હતાં. જેમાં ૮૬ વિકટો લીધી હતી. તેમણે રેલવે વતી ઇનિંગમાં પાંચ વિકેટ છ વખત અને ૧૦ વિકેટો બે વખત ઝડપી હતી.