નવી દિલ્હી: ભારતને સમુદ્રી માર્ગેથી અફઘાનિસ્તાન અને ઇરાનની સાથે વ્યાપાર કરવામાં મદદરૂપ એવા ચાબહાર પોર્ટના પ્રથમ ચરણને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઇરાનના પ્રમુખ રોહાની દ્વારા આ પોર્ટનું ઓપનિંગ કરાયું હતું. પાકિસ્તાનને બાજુમાં રાખીને ભારત હવે સીધું અફઘાનમાં સમુદ્રી માર્ગેથી માલ પણ સપ્લાય કરી શકશે. જે પોર્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું તે પાક.ના ગ્વાદર પોર્ટથી ૮૦ કિમી દૂ છે. આ પોર્ટના ઉદઘાટનની સાથે જ ભારત, ઇરાન અને અફઘાનિસ્તાનના ટોચના અધિકારીઓ વચ્ચે પણ એક બેઠક રવિવારે યોજાઇ હતી. આગામી દિવસોમાં ભારતની સાથે મળીને આ બન્ને દેશો અન્ય પ્રોજેક્ટ પર પણ કામ કરી શકે છે. આ પહેલા પણ ભારતે ઘઉની એક શિપને અફઘાનિસ્તાન આ જ રસ્તેથી મોકલી હતી. ભારત અફઘાન વચ્ચે પાકિસ્તાન આવે છે. જેને પગલે પાક. અવળચંડાઇ કરીને ભારતનો વ્યાપાર અટકાવવા માગે છે પણ ભારતે અન્ય રસ્તે પણ પોતાનો સામાન વ્યાપાર માટે મોકલવા માટે સમુદ્ર માર્ગ પસંદ કરી લીધો છે. આ માટે ઇરાન મદદ કરી રહ્યું છે.
ચીને ડહાપણ ડહોળ્યું
ચાબહાર પોર્ટ ખુલ્લો મુકાતા ચીને એવી સલાહ આપી છે કે આશા રાખીએ કે ચાબહાર પોર્ટને કારણે કોઇ વિવાદ નહીં થાય. ચીન હાલ પાકિસ્તાનને ઉશ્કેરવા માટે ગ્વાદર પોર્ટ પર મોટા પાયે રોકાણ કરી રહ્યું છે, પાકિસ્તાન ચીન વચ્ચેના બિઝનેસ કોરીડોરમાં આ પ્રોજેક્ટને આવરી લેવાયો છે.