નાઈરોબીઃ સોમવારે કેન્યાના નાઈરોબીના મુખ્ય જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સ્ટાફ દ્વારા સતત બીજા દિવસે પણ ગો-સ્લો હડતાળ પાડવામાં આવતા સંખ્યાબંધ ફ્લાઈટ્સ ખોરવાઈ જવા સાથે હજારો પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સરકાર સાથે સમાધાન થઈ જતાં કેન્યા એવિયેશન વર્કર્સ યુનિયન દ્વારા મંગળવારે આ હડતાળ પાછી ખેંચી લેવાની જાહેરાત કરાઈ હતી.
અગાઉ, કેન્યા એવિયેશન વર્કર્સ યુનિયને જણાવ્યું હતું કે અનેક ફરિયાદોનું નિરાકરણ ન લવાતા કર્મચારીઓ રવિવારથી હડતાળ પર ઉતર્યા હતા. કેન્યા સિવિલ એવિયેશન ઓથોરિટી, કેન્યા એરપોર્ટ્સ ઓથોરિટી અને કેન્યા એરવેઝ દ્વારા કોઈ સહકાર નહિ અપાતા બીજા દિવસે પણ હડતાળ યથાવત રહી હતી. કેન્યા એરપોર્ટ્સ ઓથોરિટીએ જણાવ્યું હતું કે કેટલીક ફ્લાઈટ્સ વિલંબનો સામનો કરી રહી હતી. જોકે, ઓથોરિટીએ કોઈ કારણ દર્શાવ્યું ન હતું. પ્રવાસીઓએ ફ્લાઈટ્સ શરૂ થવાની જાહેરાત માટે અનેક કલાકો એરપોર્ટ પર વીતાવવા પડ્યા હતા.

