અક્રા, ઘાનાઃ રાજધાની અક્રામાં 17થી 19 જૂન દરમિયાન યોજાયેલી ગુલામીપ્રથા અને વળતરના ન્યાય સંબંધિત કોન્ફરન્સમાં ગુલામ બનાવાયેલા આફ્રિકનોના વંશજોએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રતીકાત્મક માફીઓથી પેઢીઓના નુકસાન અને અન્યાય નાબૂદ થઈ ન શકે. કેટલાક વંશજો માટે ઘા એટલા ઉંડા છે કે કોઈ પણ માફી માગવાથી દુઃખનો કદી અંત આવી શકે નહિ. ટ્રાન્સએટલાન્ટિક ગુલામ વેપાર માટે નુકસાન સુધાર્યા કે ખરાબ કાર્યથી અસરગ્રસ્તોને વળતર આપવા યોગ્ય કર્યા વિના મૌખિક કે ઔપચારિક માફી માગવી એ ન્યાય નથી.
ગુલામોના વંશજોનું કહેવું છે કે અર્થસભર કાર્યવાહી વિના પેઢીઓના નુકસાન, વિસ્થાપન અને શોષણનો સ્વીકાર પૂરતો ન કહેવાય. અક્રાની ‘નેક્સ્ટ સ્ટેપ્સ’ કોન્ફરન્સમાં દેશોના વડાઓ, પોલિસીમેકર્સ, કાનૂની નિષ્ણાતો, સિવિલ સોસાયટી ગ્રૂપ્સ, અને આફ્રિકન ડાયસ્પોરાના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. અગાઉ, યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 123 દેશોના સમર્થન સાથે નોંધપાત્ર ઠરાવ કરી ટ્રાન્સએટલાન્ટિક ગુલામ વેપારને માનવતા વિરુદ્ધ સૌથી ગંભીર અપરાધોમાં એક ગણાવ્યો હતો.

